18 June, 2022 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખાર સ્ટેશન પર એલ્ફિન્સ્ટનવાળી ન થાય એવી પ્રાર્થના કરો ભગવાનને
ખાર સ્ટેશન પર અત્યારે વેસ્ટ તરફ બહાર નીકળવા માટે એક જ બ્રિજ છે જેને કારણે જો એકસાથે બેથી વધુ ટ્રેન આવી જાય તો બ્રિજ પર પ્રવાસીઓની ભીડ થઈ જાય છે અને ધ્યાન રાખવામાં ન આવે તો એલ્ફિન્સ્ટન સ્ટેશન પર જે ઘટના બની હતી એવી ઘટના અહીં પણ બની શકે છે એવો ડર રોજ અહીંથી પસાર થતા પ્રવાસીઓને છે. ૨૦૧૭માં એલ્ફિન્સ્ટનના બ્રિજ પર ધસારાના સમયે ભારે ગિરદીને લીધે ભાગદોડ થતાં ૨૩ લોકો ચગદાઈને મર્યા હતા. ખાર સ્ટેશનના સ્ટેશન માસ્તરે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખાર સ્ટેશન પર સાઉથ સાઇડના બ્રિજને તોડીને એ નવો બનાવવામાં આવશે. હાલમાં એક જ બ્રિજ પર વેસ્ટ તરફ નીકળતાં પીક-અવર્સમાં પ્રવાસીઓની ભીડ થાય છે એ બાબતે અમે અમારા ઉપરી અધિકારીને લેટર આપ્યો છે અને આરપીએફના જવાનો પણ અહીં ઊભા રહે એવી માગણી કરી છે. સગવડ હોય ત્યારે આરપીએફના જવાનો બ્રિજ પાસે ઊભા રહેતા હોય જ છે. વહેલી તકે અમે આ સમસ્યાનો ઉકેલ લાવીશું જેથી પ્રવાસીઓને હાલાકી ઓછી સહેવી પડે.’