વિધાનમંડળની પ્લૅટિનમ જ્યુબિલીનો કાર્યક્રમ બન્યો રાષ્ટ્રપતિની સ્તુતિનો પ્રોગ્રામ

19 October, 2011 09:03 PM IST  | 

વિધાનમંડળની પ્લૅટિનમ જ્યુબિલીનો કાર્યક્રમ બન્યો રાષ્ટ્રપતિની સ્તુતિનો પ્રોગ્રામ

 

નેતાઓએ રાજ્યના રાજકારણમાં પ્રતિભા પાટીલના પ્રદાન વિશે વખાણ કરી તેમનાં ગુણગાન ગાવામાં સમય પસાર કર્યો

અઢી કલાક લાંબા કાર્યક્રમમાં વિધાનમંડળના માંધાતાઓને યાદ કરીને તેમને અંજલિ આપવામાં આવી હતી, પરંતુ આ કાર્યક્રમમાં હાજર રાષ્ટ્રપતિનાં ગુણગાન શરૂ થયાં હતાં. ત્રણ દાયકાની કરીઅરમાં મિનિસ્ટર અને વિરોધપક્ષનાં નેતા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ ભૂતકાળમાં રાજ્યના વિધાનમંડળનાં સભ્ય રહી ચૂક્યાં છે અને આ કાર્યક્રમમાં તેમણે ડેમોક્રેટિક ફ્રન્ટ ગવર્નમેન્ટને સારા શાસન માટે સલાહ પણ આપી હતી.

કાર્યક્રમમાં યુનિયન મિનિસ્ટર શરદ પવાર, વિલાસરાવ દેશમુખ અને બીજા સિનિયર નેતાઓએ પ્રતિભા પાટીલના રાજ્યના રાજકારણમાં પ્રદાન વિશે વખાણ કરવામાં સારોએવો સમય પસાર કર્યો હતો. શરદ પવારે જણાવ્યું હતું કે પ્રતિભા પાટીલના પતિ અને દીકરાએ વિધિમંડળના સભ્ય બનીને અમૂલ્ય યોગદાન આપ્યું છે. કેન્દ્રીય નેતાઓનો આ અભિગમ ત્યાં હાજર રહેલા લોકોમાં ટીકાનું પાત્ર બન્યો હતો. રાજ્યના વિધાનમંડળની પ્લૅટિનમ જ્યુબિલીનો કાર્યક્રમ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલની સ્તુતિનો કાર્યક્રમ બની ગયો હતો.

આ કાર્યક્રમ માટેની પ્રોફેશનલ સજાવટ આર્ટ-ડિરેકટર નીતિન દેસાઈએ કરી આપી હોવાને કારણે તેમનું પ્રતિભા પાટીલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું એ વાત પણ ઘણા લોકોને પસંદ નહોતી પડી. આ સિવાય આ કાર્યક્રમમાં ગણપતરાવ દેશમુખ અને બી. ટી. દેશમુખ જેવી સિનિયર વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જોકે આ

સન્માન પામનાર વ્યક્તિઓમાં કોઈ મહિલા ન હોવાને કારણે આ મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો હતો. આ કાર્યક્રમમાં અધવચ્ચે સીસીટીવી (ક્લોઝ્ડ-સર્કિટ ટીવી) કૅમેરા અને પંખા ચાલતાં બંધ થઈ ગયાં હોવાથી મહેમાનોને પરેશાનીનો અનુભવ થયો હતો.

ચૂંટણીસુધારાની આવશ્યકતા : રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે દેશમાં ચૂંટણીસુધારાની પ્રક્રિયાને વેગ આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે એક વિકસિત દેશ તરીકે આપણે અસરકારક રીતે લોકશાહી સામેના પડકારોને ઝીલવા તૈયાર રહેવું જોઈએ તેમ જ બદલાતા સમય સાથે એમાં યોગ્ય પરિવર્તન પણ કરવાં જોઈએ. મહારાષ્ટ્ર વિધાનમંડળની ૭૫ વર્ષની સમાપ્તની ઉજવણીના કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હતી.