12 October, 2020 03:35 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
ફાઇલ ફોટો
મુંબઇના કેટલાક ભાગમાં પાવર કટ થવાથી લોકલ દ્વારા પ્રવાસ કરનારા લાખો પ્રવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઇ, થાણે, નવી મુંબઇ સહિત અન્ય ભાગોમાં આજે વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો. આ કારણે મુંબઇ લોકલ ટ્રેનની ગતિ જાણે અટકી ગઈ હતી. ચર્ચગેટથી વસઇ રેલવે સ્ટેશન વચ્ચે પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેન ગ્રિડ ફેલ થઇ જવાને કારણે બંધ થઇ ગઈ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, મુંબઇને વીજ પૂરવઠો કરનારી લાઇન અને ટ્રાન્સફૉર્મર (કલાવા પદ્ધે અને ખાર્ગર આઇસીટી) સિસ્ટમમાં ટ્રિપિંગ થઈ છે. આથી મુંબઇ અને ઉપનગરોમાં પુરવઠો પ્રભાવિત થયો છે. એક અધિકારીએ કહ્યું કે ફરીથી સ્થિતિ સામાન્ય કરવાની પ્રક્રિયા ચાલું છે. સૂત્રોનું કહેવુ છે કે ટાટા પાવરના વીજ પુરવઠામાં ખરાબીને કારણે શહેરમાં વીજ પુરવઠો બાધિત છે.
અધિકારીઓએ અનુમાન લગાવ્યું હતું રે 45 મિનિટથી લઈને એક કલાક સુધીમાં વીજ પુરવઠો સામાન્ય થઈ જશે. મુંબઇ અને પાડોશી ક્ષેત્રોને પ્રભાવિત કરનારા કલાવામાં કેન્દ્રીય ગ્રિડ ફેલ થવાને કારણે આવી સ્થિતિ નિર્માણ થઈ છે.