06 July, 2020 12:31 PM IST | Mumbai Desk | Mumbai Correspondence
પવઇ જળાશય છલકાયું
મુંબઈ મહાનગરપાલિકાની હદમાં આવેલું પવઈ તળાવ છલકાઈ ગયું છે. ગઈ કાલે સવારે ૬ વાગ્યે એ પૂરેપૂરું ભરાઈ ગયું હતું અને ઓવરફ્લો થવા માંડ્યું હતું. ૫૪૫ કરોડ લીટર પાણી સમાવવાની ક્ષમતા ધરાવતા પવઈ તળાવનું પાણી પીવાયોગ્ય ન હોવાથી તેના પાણીનો ઉપયોગ ઔદ્યોગિક એકમોમાં કરાય છે. એની સપ્લાય ઇન્ડસ્ટ્રીઝને કરાય છે. છેલ્લા ત્રણ દિવસમાં તેના ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે તળાવ ભરાઈ ગયું હોવાનું મુંબઈ મહાનગરપાલિકાના હાઇડ્રોલિક એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું.
મૂળમાં પવઈ તળાવ એ કૃત્રિમ તળાવ છે. આ તળાવ ૧૮૯૦માં ૧૨.૫૯ લાખ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યું હતું. ૬.૬૪ કિલોમીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલા આ તળાવમાં જો પૂરું પાણી ભરાય તો એ ૨.૨૩ સ્ક્વેર કિલોમીટર જેટલું થાય છે. આ તળાવ ૧૯૫ ફુટ ઊંડું છે. તળાવ પૂરું ભરેલું હોય તો તેમાં ૫૪૫.૫ કરોડ લીટર પાણી (૫૪૫૫ મિલ્યન લીટર) પાણી સમાય છે. આ તળાવ પૂરું ભરાઈને ઓવરફ્લો થાય એ પછી તેનું પાણી મીઠી નદીને જઈને મળે છે.