શાંતિ જાળવવા માટે પોલીસ-કમિશનર ઊતર્યા મરાઠી કાર્ડ

22 August, 2012 05:21 AM IST  | 

શાંતિ જાળવવા માટે પોલીસ-કમિશનર ઊતર્યા મરાઠી કાર્ડ

વિનય દળવી

મુંબઈ, તા. ૨૨

ગઈ કાલે ગિરગામ ચોપાટીથી આઝાદ મેદાન સુધી આયોજિત રૅલીમાં એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ જ મરાઠી કાર્ડનો ઉપયોગ કર્યો હતો એવું નથી, પરંતુ પરિસ્થતિની ગંભીરતા પારખી મુંબઈ પોલીસ-કમિશનર અરૂપ પટનાઈકે પણ એમએનએસની રૅલીમાં કોઈ ગડબડ ન થાય એની દેખરેખ રાખવાની તમામ જવાબદારી મરાઠીભાષી સિનિયર ઑફિસરોને જ સોંપી હતી.

નામ ન જણાવવાની શરતે એક અધિકારીએ કહ્યું કે સુરક્ષાની તમામ જવાબદારી પટનાઈકે જાણી જોઈને સિનિયર મરાઠી ઑફિસર જેવા કે ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ (એસીપી) વિશ્વાસ નાંગ્રે-પાટીલ તથા જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (સીપી) (ઍડ્મિનિસ્ટ્રેશન) હેમંત નગરાળેને સોંપી હતી, કેમ કે જો તમે ટોળાની ભાષા જાણતા હો તો એને સરળતાથી નિયંત્રણમાં રાખી શકાય. વળી પોતાની ભાષા બોલતી વ્યક્તિ પ્રત્યે લોકો વધુ આત્મીયતા દાખવતા હોય છે.’

ઑફિસરે વધુમાં કહ્યું હતું કે મહત્વની જવાબદારી જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) હિમાંશુ રૉયને પણ સોંપવામાં આવી હતી, કારણ કે તેમણે નાશિકમાં ઘણો સમય ફરજ બજાવી છે. વળી નાશિકના ઘણા નેતાઓને તેઓ અંગત રીતે ઓળખતા હતા.

આઝાદ મેદાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી જેમના શિરે હતી તેવા જૉઇન્ટ સીપી હેમંત નગરાળેની સાથે ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) (ઍન્ટિ-નાર્કોટિક્સ) વિનાયક દેશમુખ, ડીસીપી (પોર્ટ ઝોન) તાનાજી ઘાડગે સહિત અન્ય હતા. ઍડિશનલ સીપી (વેસ્ટ રીજન) વિશ્વાસ નાંગ્રે-પાટીલની સાથે ડીસીપી (ઝોન ૧૧)ના નિસાર તંબોલી તથા અન્ય અધિકારીઓ હતા.

હિંસા ટાળવામાં આવી

ગિરગામ ચોપાટીમાં કોઈ હિંસક ઘટનાઓ ન બને એની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી, કારણ કે અહીં એમએનએસના કાયકર્તાઓ મોટી સંખ્યામાં વિરોધ-પ્રદર્શન માટે ભેગા થયા હતા તેમ જ આ જ સ્થળે મુસ્લિમો વાસી ઈદની ઉજવણી માટે પણ ભેગા થયા હતા. એક પોલીસ-અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે અમે આ સ્થળે આડશ ગોઠવી દીધી હતી તેમ જ બન્ને ગ્રુપો આમનેસામને ન થાય એની પૂરતી કાળજી પણ રાખી હતી.

એમએનએસ વિરુદ્ધ કાર્યવાહી

પોલીસની પરવાનગી વગર ગિરગામ ચોપાટીથી આઝાદ મેદાન સુધી મોરચો લઈ જવા બદલ એમએનએસના સેક્રેટરી શિરીષ સાવંત તથા અન્યો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. આ યાદીમાં રાજ ઠાકરેનું નામ છે કે નહીં એનો જવાબ આપવાનું પોલીસે ટાળ્યું હતું. વળી એમએનએસના કાર્યકર્તાઓએ રૅલી દરમ્યાન હોમ મિનિસ્ટર આર. આર. પાટીલ તથા પોલીસ-કમિશનર અરૂપ પટનાઈક વિરુદ્ધ અભદ્ર ભાષામાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, જેના પર પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરીને ઘર્ષણને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોતાના ભાષણમાં રાજ ઠાકરેએ કોઈ બદનક્ષીભયુર્ વક્તવ્ય તો નથી આપ્યું એની પોલીસ ચકાસણી કરી રહી છે.

પોલીસનો કાફલો

ગિરગામ ચોપાટીમાં આયોજિત રૅલી દરમ્યાન શાંતિ જળવાઈ રહે એ માટે ૨૮૦૦ કૉન્સ્ટેબલ, ૪૫૦ મહિલા કૉન્સ્ટેબલ તથા ૨૫૦ આરપીએફ કૉન્સ્ટેબલ, ચાર એસઆરપીએફ અનામત ટુકડી, ત્રણ રેપિડ ઍક્શન ફોર્સની અનામત ટુકડી. એક આરપીએફની અનામત ટુકડી તેમ જ એક ગૅસ-સ્ક્વૉડ પણ હાજર રાખવામાં આવી હતી.

આરપીએફ  = રેલવે પ્રોટેક્શન ફોર્સ

એસઆરપીએફ  = સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ,

એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના