06 January, 2021 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-વેસ્ટમાં મહાપરિષદ બિલ્ડિંગમાં રહેતા ૩૨ વર્ષના અમરીશ જોશીનો છેલ્લા ૨૦ દિવસથી કોઈ પત્તો નથી. પરિવારે આની ગુમ થયા હોવાની ફરિયાદ મુલુંડ પોલીસ સ્ટેશનમાં કરી છે. જોકે આટલા દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસે કોઈ કામગીરી ન કરી હોવાનો પરિવારે આક્ષેપ મૂક્યો છે. પોલીસનું કહેવું છે કે ગુમ થયા બાદ તેઓનો મોબાઇલ બંધ છે જેથી તેના કૉલ રેકૉર્ડ નીકળી શકે એમ નથી.
મસ્જિદ બંદરમાં રૅશનિંગની દુકાનમાં કામ કરતા અને મુલુંડ મહાપરિષદ બિલ્ડિંગમાં રહેતા બ્રાહ્મણ સમાજના અમરીશ જોશી ૧૬ ડિસેમ્બરના રોજ પત્ની અંકિતાને કહીને નીકળ્યા હતા કે તેઓ પોતાનું એક કામ કરવા જઈ રહ્યા છે અને રાત સુધી પાછા આવી જશે. એ રાત બાદ અમરીશનો ફોન સતત બંધ હોવાથી પરિવારે ૧૭ ડિસેમ્બરના મુલુંડ પોલીસમાં ગુમ થયા હોવાની ફરિયાદ કરી હતી. જોકે આજે ગુમ થયાને ૨૧ દિવસ થઈ જવા છતાં પોલીસ તેને શોધી શકી નથી.
અમરીશની પત્ની અંકિતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે તેઓ ઘરે રાતના લેટ પાછો આવીશ એમ કહી નીકળ્યા હતા. ૧૬ ડિસેમ્બરના રાતના તેઓનો કોઈ સંપર્ક ન થતાં અમે અનેક પરિવારજનો અને તેમના મિત્રોનો સંપર્ક કર્યો હતો પણ તેઓના કોઈ સમાચાર મળ્યા નહોતા, ત્યાર બાદ અમે મુલુંડ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ૨૦ દિવસ થઈ ગયા પણ પોલીસે હજી તેઓની કોઈ ભાળ મેળવી નથી. પોલીસ અમારા કેસમાં ગોકળગતિએ કામ કરી રહી છે.
મુલુંડ પોલીસ સ્ટેશનના મિસિંગ વિભાગના અધિકારી કિશોર ખરાટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે તેઓની તપાસ હાથ ધરી છે. જોકે તેમનો મોબાઇલ ગુમ થયા ત્યારથી બંધ છે. એથી અમે તેઓના કૉલ રેકૉર્ડ કાઢવામાં અસફળ રહ્યા છે.