11 January, 2022 09:48 AM IST | Mumbai | Prajakta Kasale
મલાડમાં માઇન્ડસ્પેસ નજીક પોઇસર નદી. (ફાઇલ તસવીર : સતેજ શિંદે)
શહેરનાં સૌથી પ્રદૂષિત જળાશયોમાંની એક પોઇસર નદીને વર્ષોની ચર્ચા પછી આખરે નવજીવન મળી શકે છે. આવતી કાલે બીએમસીની સ્ટૅન્ડિંગ કમિટી નદીના કાયાકલ્પના પ્રસ્તાવ પર વિચાર કરશે. ૧૪૮૨ કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ ચાર વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે. બે વર્ષથી ઓછા સમયમાં પ્રોજેક્ટનો ખર્ચ લગભગ બમણો થઈ ગયો છે.
સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનથી શરૂ થઈ મલાડ ક્રીકમાં ખાલી થતી નદીની લંબાઈ ૧૧.૧૫ કિલોમીટર છે. શરૂઆતમાં એની પહોળાઈ લગભગ ૧૦ મીટર અને ખાડીમાં પહોંચતા સુધીમાં ૪૫ મીટર છે. નદીના માર્ગમાં કમલા નેહરુ નાલા, જોગલેકર નાલા, પીએમજીપી નાલા, સમતા નગર નાલા, ગૌતમ નગર નાલા જેવાં ઘણાં નાળાં છે, જે નદીમાં જોડાય છે. ઘણા વરસાદી પાણી સાથે ગટરની લાઇનો અને ભેંસના તબેલામાંથી નીકળતું પાણી પણ નદીનાં પાણીમાં ઉમેરાય છે.
બીએમસીની દરખાસ્ત મુજબ આ પ્રોજેક્ટ માટે નિયુક્ત કરાયેલા કન્સલ્ટન્ટે ૮.૬ કિલોમીટરની ગટરલાઇનો, ૯.૨ કિલોમીટરની વરસાદી પાણીની ગટર, ૩.૧ કિલોમીટર સુધી ચાલતા સર્વિસ રોડ, ૧૩ પૉઇન્ટ પર કચરાપેટીને રોકવા ઇન્ટરસેપ્ટર અને ૧૦ સ્થાનોએ ગંદા પાણીના શુદ્ધીકરણ પ્લાન્ટનું સૂચન કર્યું છે.
એપ્રિલ ૨૦૨૦માં પ્રોજેક્ટ માટે ટેન્ડર મગાવવામાં આવ્યાં હતાં એ સમયે ૭૫૨ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજાયો હતો, પરંતુ પ્રી-બિડિંગ મીટિંગની અંતિમ તારીખ કોવિડને કારણે ૧૩ વખત મોકૂફ રાખવામાં આવી હતી, જે ફેબ્રુઆરી ૨૦૨૧માં કરવામાં આવી હતી અને ખર્ચ અને કર સહિત ૧૪૮૨ કરોડ રૂપિયાનો ખર્ચ અપડેટ કરવામાં આવ્યો હતો.
ટેન્ડરની શરતો મુજબ કૉન્ટ્રૅક્ટરે ૧૫ વર્ષ સુધી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જાળવણી કરવાની હોય છે.