03 February, 2026 06:42 PM IST | Latur | Gujarati Mid-day Online Correspondent
પંકજા મુંડે ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી અને ભાજપ નેતા પંકજા મુંડેના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. ઉડાન પહેલા હેલિકોપ્ટરમાં ખામી હોવાનું જાણવા મળતાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે. પંકજા મુંડે મંગળવારે જિલ્લા પરિષદ ચૂંટણી પ્રચાર માટે લાતુર જઈ રહ્યા હતા. માહિતી મળી હતી કે પંકજા સંભાજીનગરથી લાતુર હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરવાના છે. છત્રપતિ સંભાજીનગરથી લાતુર ઉડાન ભરતા પહેલા પાયલટે આ ખામી જોઈ. આ પછી, તેમણે જિલ્લા પરિષદ ચૂંટણી પ્રચાર માટે સંભાજીનગરથી લાતુર સુધીની તેમની નિર્ધારિત હેલિકોપ્ટર યાત્રા રદ કરવી પડી.
આ અચાનક થયેલી ખરાબીને કારણે, લાતુરમાં પંકજા મુંડેની સભાઓ પણ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. જો કે, હેલિકોપ્ટરનું ખરેખર શું થયું તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.
પંકજા મુંડે જિલ્લા પરિષદની ચૂંટણી માટે સતત પ્રચાર કરી રહ્યા છે. સોમવારે, તેમણે છત્રપતિ સંભાજીનગરના બજાજનગરમાં ભાજપના ઉમેદવારો માટે મત માગ્યા. તેમણે જાહેર સભાઓમાં બજાજનગર જિલ્લા પરિષદ જૂથ નંબર 50 અને 51 અને જૂથ નંબર 49, દૌલતાબાદ જિલ્લા પરિષદ જૂથના મતદારો સાથે વાત કરી.
એક અઠવાડિયા પહેલા, 28 જાન્યુઆરીના રોજ, નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં અન્ય ચાર લોકોના પણ મોત થયા હતા. તેઓ જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે બારામતી જઈ રહ્યા હતા ત્યારે તેમનું વિમાન ક્રેશ થયું. રનવે પર ઉતરતી વખતે વિમાન ક્રેશ થયું.
૨૯ જાન્યુઆરીના રોજ, અજિત પવારના પાર્થિવ શરીરનો બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. બારામતીમાં અજિત પવારને અંતિમ વિદાય આપવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. તેમના અવસાન બાદ, તેમના પત્ની સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને આબકારી, રમતગમત અને લઘુમતી વિકાસ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.
બારામતીમાં પીઢ નેતા અજિત પવારને અશ્રુભીની વિદાય આપવા માટે લાખો સમર્થકો એકઠા થયા હતા, ત્યારે અંતિમયાત્રા દરમિયાન લોકોની અનેક કિમતી વસ્તુઓ ચોરી થઈ હોવાના અનેલ અહેવાલો જાણવા મળ્યા છે, જેના કારણે આ ગૌરવપૂર્ણ પ્રસંગ પર પડછાયો પડ્યો છે. મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નાયબ મુખ્ય પ્રધાન અજિત દાદાનું 29 જાન્યુઆરીના રોજ વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. 66 વર્ષીય નેતાનું 28 જાન્યુઆરીના રોજ બારામતી ઍરપોર્ટ પર વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. અહેવાલ મુજબ, અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયેલા વિશાળ ભીડ વચ્ચે લગભગ 15 શોકગ્રસ્તોની સોનાની ચેઈન ચોરી થઈ હોવાનો આરોપ છે. ચોરાયેલા દાગીનાની કુલ કિંમત 25 લાખથી 30 લાખ રૂપિયાની વચ્ચે હોવાનો અંદાજ છે. રિપોર્ટમાં ઉમેરાયું છે કે ચોરોની એક ટોળકીએ કથિત રીતે ભીડ અને ભાવનાત્મક ક્ષણનો લાભ લઈને ચોરીઓ કરી હતી. જોકે, કેટલાક જાગૃત નાગરિકોએ કેટલાક શંકાસ્પદ ચોરોને પકડી લીધા છે, જ્યારે અન્યને પોલીસને સોંપવામાં આવ્યા છે.