પાલઘરમાં મુશળધાર વરસાદ! મૃત્યુઆંક વધીને બે થયો, બચાવ કામગીરીમાં ૨૪૪ લોકોને ઉગાર્યા

24 July, 2026 03:11 PM IST  |  Palghar | Gujarati Mid-day Online Correspondent

Palghar Rain havoc: પાલઘર જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતાં બે લોકોના મોત થયા છે; એનડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રે રાતભર ચલાવેલા રાહત અને બચાવ કામગીરી દરમિયાન ૨૪૪ લોકોને સકુશળ બહાર કાઢ્યા હતા; નાગરિકોને સાવચેત રહેવાની અપીલ

દહાણુમાં ભરાયેલા પાણીમાંથી પસાર થતા લોકોની ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર (Palghar) જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં (Palghar Rain havoc) મૃત્યુઆંક વધીને બે પર પહોંચ્યો છે. બીજી તરફ, શુક્રવારે વહેલી સવારે રાહત કામગીરી પૂર્ણ થાય તે પહેલાં રાતભર ચાલેલા બચાવ અભિયાન દરમિયાન ટીમોએ પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી ૨૪૪ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

રાતભરના અથાક પ્રયાસો બાદ બચાવ કામગીરી પૂર્ણ

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સેલ (District Disaster Management Cell)ના વડા વિવેકાનંદ કદમ (Vivekanand Kadam)એ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (National Disaster Response Force) ની બે ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલું રેસ્ક્યૂ અને રાહત ઓપરેશન શુક્રવારે સવારે આશરે ૫ વાગ્યે પૂર્ણ થયું હતું.

અતિભારે વરસાદને કારણે પાલઘરના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા, જેમાં દહાણુ (Dahanu) અને તલાસરી (Talasari) સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો તરીકે સામે આવ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાત્રિ દરમિયાન હાથ ધરાયેલા આ ઓપરેશનમાં પાણીમાં ફસાયેલા ૨૪૪ લોકોને ઉગારી લેવાયા હતા. જેમાં પાલઘર શહેરમાંથી ૧૨૪ લોકો, તલાસરીની એક ફેક્ટરીમાં ફસાયેલા ૬૫ કામદારો અને ગુંડાલે સ્થિત એક ફાર્મહાઉસમાં ફસાયેલા ૨૫ લોકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ૮૯૧ લોકોને ઉગારી લેવાયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

મૃત્યુઆંક વધીને બે થયો

વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે, ગુરુવારે દહાણુમાંથી વધુ એક મૃતદેહ મળી આવતાં મૃત્યુઆંક બે થયો છે. પૂરના પાણીમાં તણાઈ ગયેલા આ મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ અગાઉ એક નાળામાંથી અન્ય એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.

રાહત ટીમના એક સભ્યના જણાવ્યા અનુસાર, પાલઘર જિલ્લાએ છેલ્લા એક દાયકામાં જોયેલું આ સૌથી ભયાનક પૂર હતું.

સ્થાનિક નાગરિકોએ પણ બચાવ્યા લોકોના જીવ

જિલ્લામાં સર્જાયેલી ઈમરજન્સીની સ્થિતિમાં સ્થાનિક રહીશોએ પણ બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વસઈમાં કાર ખાડામાં ખાબકી: ગુરુવારે વસઈ પશ્ચિમના સન સિટી-ઘાસ રોડ પર રખડતા કૂતરાને બચાવવા જતાં એક કાર પાણીથી ભરાયેલા ખાડામાં ખાબકી હતી. સ્થાનિક રહીશોએ તાત્કાલિક દોડી જઈને અડધી ડૂબેલી કારમાંથી તમામ ચાર મુસાફરોને બચાવી લીધા હતા.

બસમાંથી દોરડા વડે રેસ્ક્યૂ: સાઈવાન વિસ્તારમાં પૂરના વધતા પાણી વચ્ચે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ની એક બસ ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ દોરડાની મદદથી બસમાં ફસાયેલા ચાર મુસાફરો સહિત તમામ છ લોકોને સકુશળ બહાર કાઢ્યા હતા.

નુકસાનીનું મૂલ્યાંકન શરૂ

પૂરના પાણી ઓસરવાની સાથે જ કામચલાઉ ધોરણે બંધ કરાયેલા રસ્તાઓ અને પુલો પર વાહનવ્યવહાર પૂર્વવત થઈ ગયો છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે, વહીવટીતંત્રે હવે ભારે વરસાદને કારણે ઘરો, માળખાકીય સુવિધાઓ અને અન્ય મિલકતોને થયેલા નુકસાનનો અંદાજ મેળવવા માટે `પંચનામા` (સ્થળ નિરીક્ષણ) કરવાની કામગીરી હાથ ધરી છે.

જિલ્લા કલેક્ટર ઈન્દુ રાની જાખર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. બીજી તરફ, વહીવટીતંત્રે પુનઃસ્થાપનની કામગીરી ચાલુ હોવાથી અને હવામાન પર નજર રખાતી હોવાથી નાગરિકોને સાવચેત રહેવા વિનંતી કરી છે.

palghar dahanu monsoon news mumbai monsoon mumbai rains mumbai mumbai news indian meteorological department national disaster response force NDRF mumbai floods floods in india