મહત્વની ઑઇલ પાઇપલાઇનોને નુકસાન પહોંચાડવાની આતંકવાદીઓની યોજના

01 October, 2012 03:07 AM IST  | 

મહત્વની ઑઇલ પાઇપલાઇનોને નુકસાન પહોંચાડવાની આતંકવાદીઓની યોજના



અકેલા

મુંબઈ, તા. ૧

છેલ્લા કેટલાય મહિનાઓથી ૫૦ જેટલા આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના સમાચારને કારણે ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ના અધિકારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ આતંકવાદીઓ મહારાષ્ટ્ર, ગુજરાત તથા ગોવાના દરિયાકિનારાઓને અડીને આવેલી મહત્વની ઑઇલ પાઇપલાઇનને નુકસાન પહોંચાડવા માગે છે. કેટલાક આતંકવાદીઓ તો સારા તરૈવયા ઉપરાંત મરજીવા પણ છે.

મુંબઈપોલીસે તો આ મામલે ચુપકીદી સેવી છે, પરંતુ ગુજરાતના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (ડીજીપી) ચિત્તરંજન સિંહે આ અહેવાલને માન્યતા આપતાં કહ્યું હતું કે ‘આવા સંભવિત હુમલાઓની ચેતવણી બાબતે ઇન્ડિયન નેવી તથા કોસ્ટગાર્ડ માહિતગાર છે. અમે સાવધ રહીને સાવચેતીનાં તમામ પગલાંઓ લઈ રહ્યા છીએ.’

આઇબીની નજીકની એક વ્યક્તિ પાસેથી જણાવ્યા મળ્યું હતું કે ‘સમુદ્રની અંદર ઈરાનથી ભારત સુધી આવતી પાઇપલાઇનને નુકસાન પ્ાહોંચાડવાની યોજના પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સે (આઇએસઆઇ) બનાવી છે. સપ્ટેમ્બરથી જાન્યુઆરી દરમ્યાન હુમલાની યોજના અમલમાં લાવવામાં આવે એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ પાઇપલાઇનોમાં મહારાષ્ટ્રના દરિયાકિનારે આવેલી રિલાયન્સની પાઇપલાઇન તથા ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન (ઓએનજીસી) દ્વારા સંચાલિત બૉમ્બે હાઇના તેલના કૂવાઓને પણ નિશાન બનાવવામાં આવે એવી શક્યતા છે.’

ચોથી અને પાંચમી ઑક્ટોબર દરમ્યાન સમુદ્રમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ જેવી કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ર્ફોસ (સીઆઇએસએફ), ઇન્ડિયન નેવી, કોસ્ટગાર્ડ તથા મુંબઈપોલીસ એક જૉઇન્ટ એક્સરસાઇઝ પણ કરશે. એમાં નકલી આતંકવાદીઓ મુંબઈ તથા એની આસપાસ આવેલા રત્નાગિરિ, મઢ આઇલૅન્ડ, વર્સોવા બીચ, જુહુ ચોપાટી, બાંદરા, માહિમ,  કફ પરેડ (બધવાર પાર્ક) તથા ગિરગામ ચોપાટી જેવા વિસ્તારોમાંથી ઘૂસવાના પ્રયત્નો કરશે. આવા જ કેટલાક નકલી આતંકવાદીઓ ગુજરાત તેમ જ ગોવામાંથી પણ પ્રવેશ કરશે. સુરક્ષા એજન્સીઓએ તેમને શોધી કાઢીને પકડવાના છે. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ર્પોટ ઝોન) તાનાજી ઘાડગેનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે આવી એક્સરસાઇઝનું આયોજન કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવ્યું છે.

ડિફેન્સના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર નરેન્દ્ર વિસપુતેએ કહ્યું હતું કે ૨૬ ઑક્ટોબરે આવી જ એક વધુ એક્સરસાઇઝ કરવામાં આવશે. ઘણા પ્રયત્નો છતાં આ વિશે આઇબીની આવી વાતનું સમર્થન કે નકાર આપવાનું મુંબઈના પોલીસ-કમિશનર ડૉ. સત્યપાલ સિંહે ઘણા પ્રયત્નો છતાં ટાળી દીધું હતું.

પાકિસ્તાની નેવીએ આપી તરવાની તાલીમ

નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) સમક્ષ ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાના ગુનેગાર અજમલ કસબ તથા ડેવિડ હેડલીએ કબૂલાત કરી હતી કે તેમને પાકિસ્તાની નેવીએ તરવાની તાલીમ આપી હતી, કારણ કે તેઓ સમુદ્રમાર્ગે ભારત આવવાના હતા.