28 February, 2026 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સરકારે રાજ્યભરમાં મંજૂર કરેલી લગભગ ૫૦,૦૦૦ પાણીપુરવઠા યોજનાઓમાંથી ૨૬,૦૦૦થી વધુ પૂર્ણ કરી છે એમ મહારાષ્ટ્રના પ્રધાન ગુલાબરાવ પાટીલે શુક્રવારે વિધાનસભામાં જણાવ્યું હતું. વિધાનસભામાં પાણીપુરવઠા વિભાગ પરની ચર્ચાનો જવાબ આપતાં તેમણે કહ્યું કે બાકીની યોજનાઓ અમલીકરણના વિવિધ તબક્કામાં છે અને સરકારે પૂર્ણતાની નજીક રહેલા પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે.
સરકારની સિંચાઈ યોજનાઓ વિશે માહિતી આપતાં ગુલાબરાવ પાટીલે કહ્યું હતું કે ‘લગભગ ૫૦,૦૦૦ યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી અને ૨૬,૦૦૦થી વધુ અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગઈ છે. બાકીની વિવિધ સ્તરે પ્રગતિ કરી રહી છે. ૭૫ ટકાથી ૯૯ ટકા પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સને ભંડોળ માટે પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. ૫૦ ટકાથી ૭૫ ટકા પૂર્ણ થયેલી યોજનાઓને આગળ લેવામાં આવશે, જ્યારે ૨૫ ટકાથી ઓછી પ્રગતિ ધરાવતી યોજનાઓની સમીક્ષા કરવામાં આવશે. જોકે કેટલીક યોજનાઓમાં ટેક્નિકલ અને આયોજન અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. કેટલાંક ગામોમાં મૂળ રીતે ઓળખાયેલા પાણીના સ્રોતો પૂરતા પ્રમાણમાં પાણી આપતા નહોતા, જેના કારણે સ્રોતમાં ફેરફાર અને ખર્ચ અંદાજમાં સુધારો કરવાની જરૂર પડી. જ્યારે આયોજિત સ્રોત પર પાણી ઉપલબ્ધ નહોતું ત્યારે અમારે વૈકલ્પિક સ્રોતો ઓળખવા પડ્યા. એના કારણે સુધારેલા અંદાજો આવ્યા. પરંતુ આપણે ગામડાંઓને અધવચ્ચે છોડી શકતા નથી.’