17 February, 2021 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૅક્સિનેશન અભિયાનના બીજા તબક્કામાં ગઈ કાલે નાયર હૉસ્પિટલમાં કોરોના વૅક્સિનનો ડોઝ આપી રહેલી નર્સ. (તસવીર: પી.ટી.આઇ.)
રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં કોરોના રસીકરણ અભિયાનના બીજા રાઉન્ડના પ્રથમ દિવસે કુલ ૨૯,૮૮૪ હેલ્થકૅર અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસી મૂકવામાં આવી હતી.
મુંબઈમાં માત્ર ૭૧ હેલ્થકૅર વર્કર્સ સોમવારે રસીનો બીજો ડોઝ લેવા તૈયાર થયા હતા, જ્યારે ૧૫૨૨ હેલ્થકૅર વર્કર્સ અને ૩૬૧૦ ફ્રન્ટલાઇન વર્કર્સે (કુલ ૫૧૩૨) પ્રથમ ડોઝ લીધો હતો. ગઈ કાલે કોવીન સૉફ્ટવેરમાં ખામી સર્જાતા માત્ર ૭૧ હેલ્થકૅર વર્કર્સ રસી લઈ શક્યા એવું પણ કહેવાય છે.
૧૬ જાન્યુઆરીએ રાષ્ટ્રવ્યાપી કોરોના રસીકરણ કાર્યક્રમનો આરંભ થયો ત્યારથી મહારાષ્ટ્રમાં ૨૯,૮૮૪ લાભાર્થીઓના ઉમેરા સાથે મુકાયેલા ડોઝની સંખ્યા ૭,૧૩,૬૭૨ થઈ છે.
આ ૨૯,૮૮૪ લાભાર્થીઓમાંથી ૨૫,૨૦૫ હેલ્થકૅર અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો, જ્યારે ૪૬૭૯ હેલ્થકૅર વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો એમ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
વિભાગે જણાવ્યું હતું કે સોમવારે રસી મુકાવનારા ૨૫,૨૦૫ લાભાર્થીઓમાંથી ૯૫૫૬ લાભાર્થી હેલ્થકૅર વર્કર્સ હતા અને ૧૫,૬૪૯ ફ્રન્ટલાઇન વર્કર્સ હતા.
રસીનો બીજો ડોઝ પ્રથમ ડોઝ લીધાના ૨૮ દિવસ પછી લેવાનો રહે છે.