02 June, 2026 05:06 PM IST | Nashik | Gujarati Mid-day Online Correspondent
ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોનો વિરોધ
મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવને લઈને ખેડૂતોનો આક્રોશ વધ્યો છે. કેન્દ્ર સરકારે રબી સિઝનની ડુંગળી માટે પ્રતિ ક્વિન્ટલ 1,580 રૂપિયાનો લઘુત્તમ ખાતરીપૂર્વકનો ખરીદી ભાવ (MAPP) નક્કી કર્યા બાદ મંગળવારે સેંકડો ખેડૂતો પુણે-નાશિક હાઇવે પર ઉતરી આવ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલો ભાવ ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછો છે, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
`કાંદા ઉત્પાદક શેતકરી સર્વપક્ષીય મહામોર્ચા`ના બેનર હેઠળ આયોજિત આ આંદોલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. વિરોધ નોંધાવવા માટે ઘણા ખેડૂતો ડુંગળીની માળા પહેરીને રસ્તા પર ઉતર્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે ડુંગળી માટે વધુ ખરીદી ભાવ નક્કી કરવાની તેમજ ઘટતા બજારભાવથી પ્રભાવિત ખેડૂતોને રાહત આપવા સરકાર પાસે માંગ કરી હતી.
આંદોલનના કારણે પુણે-નાશિક હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. બાદમાં પોલીસે હસ્તક્ષેપ કરીને અનેક ખેડૂત આગેવાનો અને મહાવિકાસ આઘાડી (MVA)ના નેતાઓની અટકાયત કરી હતી. અટકાયતમાં એનસીપી (શરદ પવાર)ના નેતા રોહિત પવારનો પણ સમાવેશ થયો હતો.
રોહિત પવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ખેડૂતોની મુખ્ય માંગ છે કે સરકાર ડુંગળીની ખરીદી ઓછામાં ઓછા 25 રૂપિયા પ્રતિ કિલોના ગેરંટી ભાવ પર કરે. ઉપરાંત, જે ખેડૂતો પોતાની ડુંગળી પહેલેથી વેચી ચૂક્યા છે તેમને પ્રતિ કિલો 15થી 20 રૂપિયાની સબસિડી આપવામાં આવે. ખેડૂતોની બીજી મહત્વની માંગ એ પણ છે કે સરકાર માત્ર 2 લાખ ટન ડુંગળીની ખરીદી કરવાની યોજના બદલે 8થી 10 લાખ ટન ડુંગળી ખરીદે, જેથી ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે.
પવારે આરોપ લગાવ્યો હતો કે પ્રશાસને ખેડૂતો અને વિરોધ પક્ષના નેતાઓને આંદોલન સ્થળે પહોંચતા રોકવા માટે વિવિધ અવરોધો ઊભા કર્યા હતા. તેમ છતાં મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં જોડાયા હતા.
આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકલ, એનસીપી (શરદ પવાર)ના રાજ્ય અધ્યક્ષ શશિકાંત શિંદે, સાંસદ નિલેશ લાંકે, ધારાસભ્ય બાપુ પાઠારે, પૂર્વ ધારાસભ્ય અશોક પવાર, અતુલ બેંકે સહિત મહાવિકાસ આઘાડીના અનેક નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.
રોહિત પવારે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી સરકાર ખેડૂતોની માંગણીઓ સ્વીકારશે નહીં અને ડુંગળી ઉત્પાદકોને રાહત આપશે નહીં, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમણે સરકારને ખેડૂતોમાં વધી રહેલા અસંતોષને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં ભરવાની અપીલ કરી હતી.