22 February, 2021 10:56 AM IST | Mumbai | Rajendra B Aklekar
થાણે અને કુર્લા રેલવે-સ્ટેશનો પાસે ઈ-રિક્ષા અને ઈ-બાઇક્સની સર્વિસ શરૂ કરવામાં આવી છે
આઉટ સ્ટેશન ટ્રેનોમાં લાંબા અંતરનો પ્રવાસ કરીને આવતા લોકોને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે પ્રદૂષણરહિત પ્રવાસના વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં મધ્ય રેલવેના ક્ષેત્રમાં વિશેષ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. થાણે અને કુર્લા સ્ટેશનો પર ઈ-બાઇક્સ અને ઈ-રિક્ષાઓનો વ્યવહાર શરૂ કરાયા પછી હવે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને લોકમાન્ય ટિળક ટર્મિનસ (કુર્લા) ખાતે ઈ-બસ શરૂ કરવામાં આવશે. મધ્ય રેલવે હવે પ્રવાસીઓ તેમના સ્થળે લઈ જઈ શકે એ રીતે ઍપ-બેઝ્ડ વેહિકલ સર્વિસિસ શરૂ કરશે. લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે આઠ સ્ટેશનો પર ઈ-બાઇક્સની સર્વિસિસ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
મધ્ય રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘કુર્લા-લોકમાન્ય ટિળક ટર્મિનસ અને મુંબઈ-છત્રપતિ શિવાજી ટર્મિનસ ખાતે ત્રણ વર્ષો સુધી ઍપ-બેઝ્ડ બસ-સર્વિસ ચલાવવા માટે ટેન્ડર્સ મગાવવામાં આવ્યાં છે. એ ઉપરાંત ભાયખલા, દાદર, પરેલ, કુર્લા-લોકમાન્ય ટિળક ટર્મિનસ, મુંબઈ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, થાણે, મુલુંડ અને ભાંડુપમાં એક વર્ષ માટે ઍપ-બેઝ્ડ ઈ-બાઇક સર્વિસ શરૂ કરવાનો પણ પ્રસ્તાવ વિચારાધીન છે. બૅટરી પર ચાલતાં ઈ-વેહિકલ્સમાં ઝીરો કાર્બન એમિશન્સને કારણે પ્રદૂષણ ઘટવાની આશા રાખવામાં આવે છે. વાહનનું ઠેકાણું જાણવા માટે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) તેમ જ જિયોફેન્સિંગની પણ જોગવાઈ ઉક્ત સર્વિસિસમાં રહેશે.’