19 March, 2020 12:07 PM IST | Mumbai Desk
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાઇરસથી બચવા માટે સરકાર અને પ્રશાસન દ્વારા ઉપાય યોજના કરાઈ રહી છે. કંપનીઓને કર્મચારીઓને ઘરેથી કામ કરાવવાની સૂચના અપાઈ છે ત્યારે દિલ્હી સહિત દેશભરના બજાર પણ બંધ કરાયાં હોવાની અફવા ઊડી છે. આ વિશે દેશભરના વેપારીઓના ટોચના કૉન્ફડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેઇટ) એ સ્પષ્ટતા કરી છે કે દેશના કોઈ પણ ટ્રેડ અસોસિએશને બજાર બંધ કરવાનો હજી સુધી નિર્ણય નથી લીધો. આ વિશે સરકાર સહિત અન્ય એજન્સીઓ સાથે દિલ્હી અને દેશભરના વેપારીઓ સાથે વાતચીત કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. હા, સરકાર તરફથી આ બાબતે કોઈ નિર્ણય લેવાશે તો વેપારીઓ એનું પાલન કરશે એમ કેટની અખબારી યાદીમાં જણાવાયું છે.
કેઇટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે વેપારીઓના નેતાઓ બજારને બંધ કરવાનો કોઈ પણ નિર્ણય લેવાની પહેલાં તમામ બાબતોનો વિચાર કરશે, કારણ કે વેપારીઓની દુકાનો દેશના ૧૩૦ કરોડ લોકોની જરૂરિયાતો પૂરી પાડવાનું મુખ્ય શ્રોત છે. દેશમાં અંદાજે ૭ કરોડ વેપારીઓ છે, જે ૪૫ કરોડ લોકોને રોજગાર આપે છે.
બજાર બંધ કરવાનો નિર્ણય મોટો છે, જે લેતા પહેલાં બધાએ તથા સરકાર સાથે વાતચીત કરવાનો લેવાવો જોઈએ. બજાર બંધ કરવાનો એકમાત્ર ઉપાય નથી, જ્યારે અત્યાર સુધી ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર વેચાણ ચાલુ છે. ઈ-કૉમર્સ કંપનીઓ દ્વારા માલ સપ્લાય કરતી વખતે કોરોનાનો ચેપ લાગવાની શક્યતા નકારી ન શકાય.