16 June, 2026 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૬/૧૧ના આતંકવાદી હુમલા બાદ મુંબઈના દરિયાકિનારાની સુરક્ષા માટે સ્થપાયેલા સાગર રક્ષક દળ (SRD)માં વધુ ૧૨૦૦ વૉલન્ટિયર્સ સામેલ કરવામાં આવ્યા છે. એને પગલે એમાં સેવા આપનારા વૉલન્ટિયર્સની સંખ્યા વધીને ૩૧૫૬ થઈ ગઈ છે. SRDમાં માછીમારો અને બોટ ઑપરેટરો સહિતના નાગરિકોનો સમાવેશ થાય છે. સાગર રક્ષક દળના વૉલન્ટિયર્સ દરિયાકિનારે થતી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખીને એની જાણ ૧૧૨ પર ફોન કરીને સ્થાનિક પોલીસને કરે છે. પોલીસ-અધિકારીઓ નિયમિત રીતે આ વૉલન્ટિયર્સ સાથે વાતચીત કરે છે અને તેમના સંપર્કમાં રહે છે. મુંબઈ પોલીસ કમિશનરેટની હદમાં આવતાં બધાં જ પોલીસ-સ્ટેશનોને નવા SRD વૉલન્ટિયર્સની ભરતી કરવાની સૂચના આપવામાં આવી હતી. સ્પેશ્યલ મેમ્બરશિપ કૅમ્પેન હેઠળ આ ભરતી કરવામાં આવી છે.
જયપુરમાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેને ગઈ કાલે ૬ યુવાનોએ થપ્પડ મારી હતી. ત્યાર બાદ પાર્ટીના સમર્થકોએ બે યુવાનોને પકડીને માર માર્યો હતો. પોલીસે થપ્પડ મારનારા ૬ યુવાનોની અટકાયત કરી છે. દીપકેને લાફા મારવાની અણધારી ઘટનાને કારણે કાર્યક્રમ-સ્થળે થોડો હંગામો થયો હતો. પેપર-લીક, શિક્ષણ-પ્રણાલી, બેરોજગારી અને અન્ય યુવા સંબંધિત મુદ્દાઓને લઈને અભિજિતે ગઈ કાલે જયપુરમાં વિરોધ-પ્રદર્શનમાં ભાગ લીધો હતો. અભિજિતના નેતૃત્વમાં સેંકડો વિરોધીઓ શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે શહીદ સ્મારક પર એકઠા થયા હતા.
તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજય અને તેમની અલગ થયેલી પત્ની સંગીતા સોર્નાલિંગમ સાથેની છૂટાછેડાની કાર્યવાહી ચેંગલપટ્ટુ મહિલા કોર્ટે ૭ ઑગસ્ટ સુધી મુલતવી રાખી છે. આ મામલો આ અઠવાડિયે સુનાવણી માટે આવ્યો હતો, પરંતુ કોઈ નોંધપાત્ર ડેવલપમેન્ટ વિના સમાપ્ત થયો હતો જેને કારણે કોર્ટે આગામી સુનાવણી ઑગસ્ટમાં નક્કી કરી હતી. સંગીતાએ સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ 1954 હેઠળ છૂટાછેડા માટે અરજી કરી છે. પોતાની કાનૂની અરજીમાં સંગીતાએ ઔપચારિક રીતે રચનાત્મક ત્યાગના સિદ્ધાંતનો ઉપયોગ કરીને પોતાના ૨૭ વર્ષના લગ્નજીવનના ભંગાણને યોગ્ય ઠેરવ્યું છે. વિજય અગ્રણી ફિલ્મસ્ટાર અને તામિલનાડુના મુખ્ય પ્રધાન હોવાને કારણે આ કેસ વ્યાપક ધ્યાન ખેંચી રહ્યો છે.