ન્યૂઝ શોર્ટમાં: આશા ભોસલેની સ્મૃતિમાં મહારાષ્ટ્ર સરકાર લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ શરૂ કરશે

03 July, 2026 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારે આ જાહેરાત કરી હતી.

આશા ભોસલે

મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે વિધાનસભામાં જાહેરાત કરતાં જણાવ્યું હતું કે સંગીત અને સિન્ગિંગ ક્ષેત્રે અનન્ય પ્રદાન આપનારા કલાકારોના સન્માન માટે રાજ્ય સરકાર દ્વારા ‘સ્વરસમ્રાજ્ઞી આશા ભોસલે લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ’ શરૂ કરવામાં આવશે. સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારે આ જાહેરાત કરી હતી.

વિધાનસભામાં આ પ્રસ્તાવ વિશે બોલતાં આશિષ શેલારે જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર પાસે સંગીત, નાટક, સાહિત્ય, સિનેમા, લોકકળા અને વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓનો અત્યંત સમૃદ્ધ વારસો રહેલો છે. રાજ્યના અસંખ્ય નામાંકિત અને દિગ્ગજ કલાકારોએ ભારતીય સંગીતના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે, જેને કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહારાષ્ટ્રની એક વિશિષ્ટ સાંસ્કૃતિક ઓળખ ઊભી થઈ છે. ગાયન ક્ષેત્રની જીવંત દંતકથા સમાન આશા ભોસલેના નામે શરૂ થનારો આ સર્વોચ્ચ પુરસ્કાર સંગીતજગતના દિગ્ગજોના યોગદાનને સાચા અર્થમાં બિરદાવશે.’

૧૨,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે પર પહેલા જ વરસાદમાં મસમોટા ખાડા

૩ મહિના પહેલાં જ લોકાર્પિત કરાયેલા ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા દિલ્હી-દેહરાદૂન હાઇવે પર એક જ વરસાદમાં ગાબડાં પડતાં અનેક સવાલો પેદા થઈ રહ્યા છે. આ હાઇવે પર પૂરપાટ ઝડપે દોડતાં વાહનો માટે આ જીવલેણ ખાડા ગંભીર અકસ્માતનો ભય પેદા કરી રહ્યા છે જેનાથી વાહનચાલકો ભારે પરેશાન છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં ઐતિહાસિક ખરડો પસાર : મહિલા ખેડૂતોને મળશે સત્તાવાર ઓળખ અને અધિકારો

મહારાષ્ટ્ર વિધાનસભાએ ગુરુવારે એક ઐતિહાસિક અને દેશભરમાં પ્રથમ એવું બિલ સર્વાનુમતે પસાર કર્યું છે જેનો ઉદ્દેશ્ય મહિલા ખેડૂતોને સત્તાવાર માન્યતા આપવાનો અને તેમને સરકારી કલ્યાણકારી યોજનાઓ, બૅન્ક લોન, કૃષિ સેવાઓ તેમ જ ‘મહિલા ખેડૂત ઓળખપત્ર’ સરળતાથી મળી રહે અે માટેનું કાનૂની માળખું તૈયાર કરવાનો છે. દેશભરમાં આ પ્રકારના પ્રથમ કાયદાકીય પ્રસ્તાવ એવા ‘મહિલા ખેડૂત સશક્તીકરણ બિલ’ અંતર્ગત ખેતી ક્ષેત્રે મહિલાઓના અપ્રતિમ પ્રદાનને સ્વીકારવામાં આવ્યું છે. આ કાયદા હેઠળ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓની સહાયતા માટે એક વિશેષ ભંડોળ આપવામાં આવશે તેમ જ વિધવા, છૂટાછેડા લીધેલી કે એકલી રહેતી મહિલા ખેડૂતોને વિશેષ આર્થિક અને ટેક્નિકલ સહાય પૂરી પાડવામાં આવશે. 

વિરારમાં ટ્રૅક ક્રૉસ કરતી વખતે ટ્રેનની અડફેટે મહિલાનું મૃત્યુ

વિરારમાં નારંગી રેલવે ક્રૉસિંગ પાસે ગઈ કાલે સવારે ૯.૩૦ વાગ્યે એક મહિલાનું ટ્રૅક ક્રૉસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી જવાથી મોત થયું હતું. વલસાડ સુપરફાસ્ટ પૅસેન્જર ટ્રેનની અડફેટે તે મહિલાને આવેલાં જોઈને ટ્રેનના મોટરમૅને ટ્રેન રોકી દીધી હતી અને રેલવેને જાણ કરી હતી. થોડી જ વારમાં ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) સ્પૉટ પર પહોંચી ગઈ હતી. વિરાર GRPના જણાવ્યા અનુસાર મૂળ રત્નાગિરિ નજીકના રાજાપુરનાં ૭૫ વર્ષની જયવંતી દાદુ મિરજોળકર નામનાં મહિલા ટ્રૅક ક્રૉસ કરતાં હતાં ત્યારે ટ્રેનની અડફેટે આવી ગયાં હતાં. આ ઘટના આત્મહત્યા કે હત્યા નહોતી, એ ઍક્સિડન્ટ જ હોવાનું જણાઈ આવ્યું હતું. 

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra asha bhosle culture news indian music