પાલઘરમાં રેલવે-ટ્રૅક પર નવજાત શિશુ મળ્યું

19 November, 2025 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સવારે સાડાપાંચ વાગ્યે મોટરમૅનને પાટા પર પડેલું બાળક દેખાયું, GRPના અધિકારીઓએ તેને કપડામાં વીંટાળીને હૉસ્પિટલ પહોંચાડી જીવ બચાવ્યો

પ્રતીકાત્મક તસવીર

પાલઘર રેલવે-સ્ટેશન નજીક બે ટ્રૅકની વચ્ચેથી સોમવારે વહેલી સવારે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને એક નવજાત બાળક મળી આવ્યું હતું. આ મામલે પાલઘર GRPએ બાળકને ટ્રૅક વચ્ચે મૂકી જનાર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સોમવારે વહેલી સવારે મોટરમૅન દ્વારા ટ્રૅકની વચ્ચે એક બાળક રડતું હોવાની જાણ પાલઘરના સ્ટેશનમાસ્ટરને કરવામાં આવી હતી. ત્યાર બાદ GRPએ પાલઘર રેલવે-સ્ટેશનથી આશરે ૨૦૦ મીટર દૂર ટ્રૅકની વચ્ચે મૂકી દેવામાં આવેલા બાળકને તાબામાં લીધું હતું અને ઇલાજ માટે હૉસ્પિટલમાં પહોંચાડ્યું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર આ બાળકનો જન્મ રવિવારે મોડી રાતે થયો હતો. જ્યારે એ બાળકને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યું ત્યારે ઠંડીને કારણે તેનાં હાર્ટ-બીટ એકદમ ઓછા થઈ ગયા હતા. જોકે ડૉક્ટરે તેને બચાવી લીધું હતું.

પાલઘર GRPના સિનિયર ઇન્સ્પેક્ટર સંચિન ઇંગવલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે સાડાપાંચ વાગ્યાની આસપાસ અમારી ટીમ બાળકને બચાવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. તાત્કાલિક અમારા એક અધિકારીએ તેને કપડામાં વીંટાળીને નજીકની સરકારી હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડ્યું હતું, જ્યાં તેને સારવાર મળી રહેતાં તેનો જીવ બચી ગયો હતો. જ્યાંથી તે બા‍ળક મળ્યું હતું ત્યાં જાનવરો પણ આવતાં હોય છે એટલે જો તેને હૉસ્પિટલ પહોંચાડવામાં મોડું થયું હોત તો કદાચ બાળકને બચાવવું મુશ્કેલ થઈ જાત.’   

mumbai news mumbai palghar Crime News mumbai crime news mumbai police