16 May, 2025 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય શિંદે
બદલાપુરની સ્કૂલની બે બાળકીઓ પર જાતીય અત્યાચારના આરોપી અક્ષય શિંદેના એન્કાઉન્ટર કેસની તપાસ કરવા રાજ્યનાં પોલીસવડાં રશ્મિ શુક્લાએ હવે નવી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની જાહેરાત કરી છે.
આરોપી અક્ષય શિંદેનાં માતા-પિતાએ બૉમ્બે હાઈ કોર્ટમાં ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે અમને શંકા છે કે અક્ષયનું ફેક એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. તેમની એ રજૂઆતને લઈને બૉમ્બે હાઈ કોર્ટે આ કેસની તપાસ જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) લખમી ગૌતમની દોરવણી હેઠળની સ્પેશ્યલ ટીમને સોંપી હતી. જોકે એ પછી પણ આ કેસમાં કોર્ટના કહેવા છતાં એ ઘટના સાથે સંકળાયેલા પાંચ પોલીસ-કર્મચારીઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યો નહોતો. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પાંચ પોલીસ સામે FIR નોંધાવવાના નિર્ણયને પડકારતી અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નવેસરથી SIT બનાવી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ નવી SIT બનાવવામાં આવી છે. આ નવી SIT મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસના ઍડિશનલ કમિશનર દત્તા શિંદેના વડપણ હેઠળ બનાવવામાં આવી છે. આ ઉપરાંત આ ટીમમાં પિંપરી-ચિંચવડના ડેપ્યુટી પોલીસ-કમિશનર અને MBVV પોલીસના બે અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર અને અન્ય ચુનંદા પોલીસ-ઇન્સ્પેક્ટરની વરણી કરવામાં આવી છે. નવી SITએ અત્યાર સુધી કેસની તપાસ કરી રહેલા ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) પાસેથી કેસને લગતા બધા જ દસ્તાવેજો મેળવી લીધા છે. SIT હવે નવેસરથી પોતાની રીતે કેસની તપાસ શરૂ કરશે.