06 January, 2021 08:23 AM IST | Mumbai | Rajendra B Aklekar
ડોમ્બિવલી સ્ટેશન પર જ જૂના બ્રિજના સ્થાને બનાવાયો છે આ નવો ફુટઓવર બ્રિજ
ડોમ્બિવલી સ્ટેશન પર અરાજકતા ઘટાડવા માટે તેના કલ્યાણ તરફના છેડે તૈયાર કરવામાં આવેલો નવો ફુટઓવર બ્રિજ મુસાફરો માટે મુસીબતરૂપ બન્યો છે. વપરાશકર્તાઓ જણાવે છે કે આ બ્રિજનું ચડતી વખતના દાદરા અત્યંત સ્ટીપ હોવાથી ચઢવામાં મુશ્કેલી પડે છે અને ખાસ કરીને સિનિયર સિટિઝન્સ માટે તે જોખમી પણ પુરવાર થઈ શકે છે. પેસેન્જર સંસ્થા ભારતીય રેલ યાત્રીએ સૌપ્રથમ આ સમસ્યા ઉજાગર કરીને તેને ‘એન્જિનિયરિંગ ડિઝાસ્ટર’ ગણાવી હતી.
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ ખામી રહી નથી અને સ્થળ અને જગ્યાના અવરોધના કારણે બ્રિજ આવો દેખાય છે અને તેઓ ટૂંક સમયમાં જ તેનું સમારકામ કરી દેશે. સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું કે તેઓ આ અસુવિધાને હળવી કરવા માટેનો ઉપાય પૂરો પાડવા ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે.મુંબઈ ડિવિઝનના એક સિનિયર એન્જિનિયરે જણાવ્યું હતું કે બ્રિજ સીડીથી મુખ્ય માર્ગ સાથે સીધો સંપર્ક ધરાવે છે, જેના કારણે પગથિયાંને એડજસ્ટમેન્ટ માટે સહેજ વધુ ઊંચા રાખવામાં આવ્યાં છે. સાથે જ આ સ્થળે જગ્યાની મર્યાદાના કારણે આમ કરવામાં આવ્યું હતું. વધુ સુવિધા સાથે તેનો ઉપયોગ કરી શકાય તે માટે સેન્ટરમાં વધારાની રેલિંગ લગાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે થાણે ઉપરાંત ડોમ્બિવલી સૌથી વધુ પ્રવાસીઓની ગીચતા ધરાવે છે. મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ અનુસાર સવારે ૮.૩૦ અને ૯.૩૦ વાગ્યાની વચ્ચે પિક અવર સેક્શન લોડ સીએસએમટી તરફ અને સાંજે ૬.૩૦-૭.૩૦ વાગ્યાની વચ્ચે કલ્યાણ તરફ રહે છે અને આ લોડ ૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ પેસેન્જરો જેટલો હોય છે.
હું તમામ લોકોને પગથિયાં ચડતી વખતે સાવચેત રહેવા વિનંતી કરું છું. ડોમ્બિવલીના રહેવાસીઓએ તાત્કાલિક ધોરણે સંબંધિત વહીવટી તંત્ર સમક્ષ આ મુદ્દો ઉઠાવવો જોઈએ.
- પંકજ એસ. જોશી, પ્રવાસી