29 March, 2021 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શરદ પવાર (ફાઈલ તસવીર)
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)ની તબિયત બગડતા તેમને બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિક (Nawab Malik)એ ટ્વીટ કરીને આ અંગે જાણ કરી હતી.
એનસીપી પ્રમુખ શરદ પવારની રવિવારે મોડી રાત્રે અચાનક તબિયત બગડતા બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. નવાબ મલિકે આ અંગે જાણકારી આપતા કહ્યું કે, શરદ પવારને પેટમાં અચાનક ભારે દુખાવો થયો અને એમને હૉસ્પિટલમાં તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. વરિષ્ઠ ડોક્ટરની દેખરેખમાં શરદ પવારની તપાસ કરવામાં આવી રહી છે.
સ્વાસ્થ્ય અંગે જાણકારી આપતા નવાબ મલિકે વધુમાં જણાવ્યું હતું કે, ડૉક્ટરી તપાસમાં જાણવા મળ્યું છે કે શરદ પવારના ગોલ્ડબ્લેડરમાં તકલીફ છે. તેમજ હૉસ્પિટલ તરફથી આપવામાં આવેલી સલાહ પછી તેમની લોહી પાતળા થવાની દવા બંધ કરી દેવામાં આવી છે. હવે 31 માર્ચે તેમની એન્ડોસ્કોપી સર્જરી કરવામાં આવશે. આ સંજોગોમાં એનસીપી પ્રમુખના દરેક કાર્યક્રમ આગામી નોટિસ સુધી રદ કરવામાં આવ્યા છે.