27 May, 2022 01:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મોટી રાહત મળી છે. નાર્કોટિક કંટ્રોલ બ્યુરો (NCB)ની ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ નથી. NCBએ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નવી ચાર્જશીટ ફાઇલ કરી, જેમાં આર્યન ખાનનું નામ સામેલ નથી. આ વર્ષની શરૂઆતમાં, એવા અહેવાલો આવ્યા હતા કે એસઆઈટીને સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી, ન તો આર્યનના ડ્રગ્સ સાથેના આંતરરાષ્ટ્રીય જોડાણના કોઈ પુરાવા છે.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આર્યનના કબજામાંથી ડ્રગ્સ મળી આવ્યું નથી. જણાવી દઈએ કે આર્યન ખાનને એનસીબીની ટીમે 2 ઑક્ટોબરની રાત્રે મુંબઈમાં ક્રૂઝ શિપ પરથી તાબામાં લીધો હતો. આર્યન ખાનની સાથે તેના મિત્ર અરબાઝ મર્ચન્ટને પણ NCBએ ઝડપ્યો હતો. ડ્રગ્સના કેસમાં કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. NCBએ આરોપ લગાવ્યો હતો કે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ શિપમાં ડ્રગ્સ પાર્ટી થવાની હતી. આર્યન ખાન આ પાર્ટીનો ભાગ બનવાનો હતો.
અરબાઝના શૂઝમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું, જોકે એનસીબીને આર્યન પાસે કોઈ ડ્રગ્સ મળ્યું નથી. આર્યન થોડા દિવસો સુધી NCBની કસ્ટડીમાં હતો, ત્યારબાદ 7 ઑક્ટોબરે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આર્યનની જામીન અરજી બે વખત ફગાવી દેવામાં આવી હતી. તેને મુંબઈની આર્થર રોલ જેલમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ આર્યનને 28 ઑક્ટોબરે જામીન મળી ગયા હતા. મુંબઈની આર્થર રોલ જેલમાં લગભગ 28 દિવસ પસાર કર્યા બાદ આર્યન ખાનને મુક્ત કરવામાં આવ્યો હતો.