22 November, 2021 04:40 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
નવાબ મલિક
NCP નેતા નવાબ મલિકનો એનસીબી અધિકારી સમીર વાનખેડે વિરુદ્ધ મોરચો હજી બંધ થયો નથી. એકવાર ફરી મલિકે સમીર વાનખેડે પર હુમલો કર્યો છે. તેમણે ટ્વિટર પર સમીર વાનખેડેની એક તસવીર શેર કરી છે. જેમાં તે મુસ્લિમ અવતારમાં જોવા મળી રહ્યાં છે.
છેલ્લા કેટલાય દિવસોથી નવાબ મલિક વાનખેડે પર સતત પ્રહારો કરી રહ્યાં છે. આ કડીમાં નવાબ મલિકે ટ્વિટ પર સમીર વાનખેડેની એક તસવીર શેર કરી છે. કેપ્શનમાં લખ્યું છે, કબુલ હૈ..કબુલ હૈ..કબુલ હૈ..ટ્વિટમાં આગળ મલિકે લખ્યું છે કે, `આ શું કર્યુ તે સમીર દાઉદ વાનખેડે?`
નવાબ મલિક દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં (નવાબ મલિક મુજબ) ટોપી પહેરેલો વ્યકિત સમીર વાનખેડે છે અને તે કોઈ કાગળિયા પર સહી કરતો જોવા મળે છે. જેને નિકાહનામા બતાવવામાં આવ્યું છે.
નવાબ મલિકે એ દિવસે નિકાહનામ પર હસ્તાક્ષર કરતી વખતે આ તસવીર જાહેર કરી છે જ્યારે તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી માનહાનિની અરજીની સુનાવણી બોમ્બે હાઈકોર્ટમાં થવાની છે.
સમીર વાનખેડેના પિતાએ નવાબ મલિક વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં માનહાનિની અરજી દાખલ કરી સવા કરોડની માગ કરી છે. સમીર વાનખેડેના પિતાએ પણ કોર્ટ પાસે માંગ કરી છે કે નવાબ મલિકને સોશિયલ મીડિયા પર તેમના પરિવાર વિરુદ્ધ અપમાનજનક નિવેદનો આપવાથી રોકવામાં આવે.બોમ્બે હાઈકોર્ટ આજે આ મામલે પોતાનો ચુકાદો આપી શકે છે.
નોંધનીય છે કે નવાબ મલિકે સમીર વાનખેડે પર મુસ્લિમ હોવાનો આરોપ લગાવ્યો હતો અને નકલી પ્રમાણપત્રના આધારે દાવો કર્યો હતો કે તે પોતે અનુસૂચિત જાતિનો છે. નવાબ મલિકની ટીમે બોમ્બે હાઈકોર્ટને પુરાવા તરીકે સમીર વાનખેડેના શાળા પ્રવેશ ફોર્મ અને પ્રાથમિક સ્તરના શાળાના પ્રમાણપત્રો આપ્યા હતા.
નવાબ મલિકની ટીમે એવો પણ દાવો કર્યો હતો કે સમીર વાનખેડેએ પોતાને બચાવવા માટે બનાવટી પ્રમાણપત્રો મેળવ્યા હતા.સમીર વાનખેડેની કાનૂની ટીમે કોર્ટમાં સમીર વાનખેડેનું જન્મ પ્રમાણપત્ર રજૂ કર્યું જેમાં તેનું નામ સમીર જ્ઞાનદેવ વાનખેડે તરીકે નોંધાયેલું છે.