પ્રેરણા રાસ ૨૦૨૨ : ૧૫મા વર્ષનું ધમાકેદાર આયોજન

20 September, 2022 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાંસદ મનોજ કોટકના માર્ગદર્શન હેઠળ આયોજક સમિતિ સુસજ્જ

`પ્રેરણા રાસ`નું પોસ્ટર

સાર્વજનિક નવરાત્રિના આયોજનમાં અનેક વર્ષોનો દીર્ઘ અનુભવ ધરાવતા ઈશાન મુંબઈના લોકપ્રિય સાંસદ મનોજ કોટકના માર્ગદર્શન હેઠળની ટીમ ‘પ્રેરણા પરિવાર’ કોરોનાકાળના અંતરાલ બાદ આ વર્ષે નવા જોશ, નવા ઉમંગ અને નવા તરંગ સાથે પ્રેરણા રાસ ૨૦૨૨નું પંદરમા વર્ષનું ભવ્ય આયોજન કરવા સુસજ્જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક જ આયોજક દ્વારા એક જ સ્થળ પર ૧૫મા વર્ષે સાર્વજનિક નવરાત્રિનું આયોજન થતું હોય તો એ એકમાત્ર પ્રેરણા રાસ છે જેનું સંપૂર્ણ શ્રેય પ્રેરણા રાસના ચાહકોને જાય છે.

મુલુંડના કાલિદાસના વિશાળ ગ્રાઉન્ડ ખાતે સોમવાર, ૨૬ સપ્ટેમ્બરથી બુધવાર, ૫ ઑક્ટોબર એમ કુલ દસ દિવસ સુધી ખેલૈયાઓ તથા દાંડિયા-ગરબા રસિકો મન ભરીને નવરાત્રોત્સવ માણી શકે એ માટે આયોજન સમિતિ તૈયારીઓમાં લાગી ગઈ છે. દરરોજ સાંજે સાત વાગ્યે માતા અંબેની આરતી કરીને પ્રેરણા રાસ શરૂ કરવામાં આવશે. રંગબેરંગી આકર્ષક લાઇટિંગથી ઝગમગતા વિશાળ સ્ટેજ પર બૉલીવુડ ઢોલકિંગ તરીકે પ્રખ્યાત બંધુબેલડી હનીફ-અસલમ તેમના ડઝનો વાદ્યવૃંદકારો સાથે સંગીતના સૂર રેલાવશે. કાલિદાસના ગ્રાઉન્ડમાં ‘ઢોલીડા’ ફેમ બૉલીવુડ પ્લેબૅક જાહનવી શ્રીમાંકર અને લોકોનાં દિલ જીતી ચૂકેલા સૂફી ગાયક ભાવિન શાસ્ત્રી તેમના સુમધુર કંઠે સૂરો રેલાવશે. તો વર્સેટાઇલ સિંગર શરદ લશ્કરી અને કચ્છી કોયલ પોમલ શાહ પોતાની આગવી શૈલી દ્વારા તેમને સાથ આપીને લોકગીતો અને સુપ્રસિદ્ધ ગીતોની જમાવટ કરશે. દરરોજ કૉમ્પિટિશન રાઉન્ડ, આકર્ષક ઇનામોની વણજાર ઉપરાંત આરતી હરીફાઈ, સિનિયર સિટિઝન રાઉન્ડ, દિવ્યાંગ બાળકોનો રાઉન્ડ, વિદ્યાર્થીઓ માટેનો રાઉન્ડ, કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા માતાજીની મહાઆરતી જેવાં વિશેષ આયોજનો માટે સુપ્રસિદ્ધ પ્રેરણા રાસમાં આ વર્ષે પણ આ વિશેષ આયોજનોની પરંપરા બરકરાર રાખવામાં આવી છે. પ્રેરણા રાસના આયોજન બાબતે સાંસદ મનોજ કોટકે જણાવ્યું હતું કે ‘પ્રેરણા રાસે ફક્ત ઈશાન મુંબઈમાં જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોના લોકોમાં પણ અપાર લોકપ્રિયતા મેળવીને મુંબઈની શ્રેષ્ઠ નવરાત્રિ તરીકે લોકચાહના મેળવી છે. પ્રેરણા રાસ આ વર્ષે પણ માતા અંબેની ભક્તિ કરી પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય સાધી ૨૦૨૨ના ભવ્યાતિભવ્ય આયોજન માટે કટિબદ્ધ છે.’

મુલુંડના કાલિદાસના વિશાળ પ્રાંગણમાં આ વર્ષે દસ દિવસ ધમાલ

• સોમવાર, ૨૬ સપ્ટેમ્બરથી બુધવાર, ૫ ઑક્ટોબર સુધી ખેલૈયાઓ મન મૂકીને નાચી શકશે.
• બૉલીવુડ ઢોલકિંગ બંધુબેલડી હનીફ-અસલમ રેલાવશે સંગીતના સૂર
• ‘ઢોલીડા’ ફેમ બૉલીવુડ પ્લેબૅક સિંગર જાહનવી શ્રીમાંકર, સૂફી ગાયક ભાવિન શાસ્ત્રી, વર્સેટાઇલ સિંગર શરદ લશ્કરી અને કચ્છી કોયલ પોમલ શાહ લોકગીતો અને સુપ્રસિદ્ધ ગીતો દ્વારા જમાવશે સૂરોની જમાવટ
• દરરોજ મનભાવક અને આકર્ષક ઇનામોની વણઝાર
• કોરોનાકાળમાં રાસગરબા ન રમી શકેલા ખેલૈયાઓના થનગનાટ માટે લેવામાં આવશે વિશેષ કાળજી
• સમાજના દરેક વર્ગને આવરી લેવા કરવામાં આવશે અનેક વિશેષ આયોજનો 
• પ્રેરણા રાસ આ વર્ષે પણ માતા અંબેની ભક્તિ કરી પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય સાધશે અને અમે પ્રેરણા રાસ ૨૦૨૨ના ભવ્યાતિભવ્ય આયોજન માટે કટિબદ્ધ છીએ ઃ સાંસદ મનોજ કોટક

mumbai mumbai news navratri