16 March, 2020 12:57 PM IST | Mumbai | Mid-day Online Correspondent
પાલિકાના કમિશ્નર પ્રવિણ પરદેશી
વિશ્વના લગભગ બધા જ દેશ અને દરેક દેશના મોટાભાગના શહેરોમાં કોરોના વાઈરસ ફેલાયો છે અને લોકો ગભરાઈ ગયા છે. મહરાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાના 33 અને શંકાસ્પદ 99 કેસ નોંધાયા છે. ત્યારે બૃહદ મુંબઈ મહાનગર પાલિકાના કમિશ્નર પ્રવિણ પરદેશીએ લોકોને કોરોનાથી ગભરાવવાનું નહીં પણ સાવચેત રહીને સલામત રહેવાનું કહ્યું છે.
ઈન્સ્ટાગ્રામ પર આપેલા એક ઈન્ટરવ્યુમાં પરદેશીએ કહ્યું હતું કે, 'રાજ્ય સરકારે કોરોના વાઈરસ (COVID-19) ને રોગચાળા તરીકે જાહેર કર્યો છે અને તેને લગતા બધા જ નિયમો લાગુ પડે છે. રોગચાળાને કાબુમાં રાખવા માટેના પગલા લેવાનું સરકાર અને પાલિકાએ શરૂ કરી દીધું છે. શળા અને કોલેજોને પણ સુચના આપવામાં આવી છે કે, જે વિદ્યાર્થીઓમાં કફ, શરદી કે શ્વાસોશ્વસાની તકલીફના લક્ષણો દેખાય તેને ઘરે મોકલી દેવામાં આવે. મેડિકલ સર્ટિફિકેટ આપનાર વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી રાહત પણ આપવામાં આવશે, એટલે વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી..'
વધુમાં તેમણે કહ્યું હતું કે, 'હાલ પ્રતિ દિવસ કોરોના વાઈરસના 200 ટૅસ્ટ કરી શકવાની ક્ષમતા છે. પરંતુ વધુ ટૅસ્ટ સેન્ટર શરૂ કરી શકાય તે માટે ખાનગી હૉસ્પિટલો સાથે વાતચીત ચાલુ છે. નાગરિકોએ ગભરાવવાની બિલકુલ જરૂર નથી. સાવચેતી રાખવામાં આવશે. તો બધા જ સલામત રહેશે પરિસ્થિનિને કાબુમાં રાખવા માટે અમારા તરફથી પુરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આપણે બધા સાથે મળીને આનો સામનો કરીશું.'