03 March, 2020 09:15 AM IST | Mumbai Desk
પ્રતીકાત્મક તસવીર
કથિત જમીનના વિવાદને કારણે દંપતીએ તેની નાની દીકરી સહિત આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. શિવરામ અને દીપિકા પાટીલ તેમ જ તેની દીકરી અનુષ્કાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. પરિવાર નૅશનલ હાઇવે ચાર નજીક વાકલન વિસ્તારમાં રહેતો હતો. ત્રણેય જણે આત્મહત્યા કરી હોવાની માહિતી મળતાં જ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
પાટીલે આત્મહત્યા પહેલાં એક ચિઠ્ઠી લખી હતી. એ ચિઠ્ઠી તેણે પરિવારના વોટ્સ અૅપ ગ્રુપ પર વાઇરલ કરી હતી. નજીકના ૧૩ પરિવારજનોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યા હોવાનું ચિઠ્ઠીમાં લખ્યું હતું. આ પરિવારજનોને કડક સજા થવી જોઈએ, એવી માગણી પાટીલે સુસાઈડ નોટમાં લખી હતી. જોકે આત્મહત્યા શેને કારણે કરવામાં આવી હોવાની માહિતી પોલીસને હજી સુધી મળી નથી.
પોલીસ આખી ઘટનાની તપાસ કરી રહી છે. પાટીલે લખેલી સુસાઈડ નોટ પોલીસે તાબામાં લઈને તેમાં લખવામાં આવેલા ૧૩ જણને નજીકના સમયમાં જ તપાસ માટે બોલાવે એવી શક્યતા છે. પોલીસે પાટીલ દંપતી અને તેની દીકરીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.