08 October, 2014 03:20 AM IST |
વેસ્ટર્ન રેલવેમાં ગઈ કાલે દહિસરથી બોરીવલી વચ્ચે વિરારથી ચર્ચગેટ જતી અપ લોકલ ટ્રેનના પૅન્ટોગ્રાફમાં ટેક્નિકલ ખામીને લીધે ઓવરહેડ વાયર તૂટી પડતાં આ આખી લાઇન લગભગ એક કલાક માટે બંધ રાખવામાં આવી હતી અને ચર્ચગેટ જતી ટ્રેનને બીજા ટ્રૅક પર વાળવામાં આવી હતી તેમ જ વિરારથી ૧૧.૦૮ વાગ્યે ચર્ચગેટ જતી ટ્રેનને મીરા રોડ સ્ટેશન પર ખાલી કરાવી હતી. એથી પીક-અવર્સમાં આ ટ્રેનમાં પ્રવાસ કરનારા લોકોની ભીડ પ્લૅટફૉર્મ પર જોવા મળી હતી. ટ્રેનમાં ભીડ થતાં પ્રવાસીઓને ભારે હેરાનગતિ વેઠવી પડી હતી.
હાર્બરલાઇન ખોરવાઈ ગઈ
હાર્બરલાઇનમાં નેરુળ અને જુઈ નગર સ્ટેશન વચ્ચે અપ લાઇન પર ગઈ કાલે સાંજે ૬ વાગ્યે સિમેન્ટનું એક પતરું ઊડીને પડતાં ઓવરહેડ વાયર તૂટી ગયો હતો. એને કારણે પીક-અવર્સમાં રેલવ્યવહાર ખોરવાઈ ગયો હતો. જોકે રેલવેએ તરત સમારકામ હાથ ધરીને ૬.૪૮ વાગ્યે પૂરું કરતાં રેલવેલાઇન શરૂ થઈ હતી. એને કારણે હજારો પ્રવાસીઓ રખડી પડ્યા હતા. મોડી સાંજ સુધી ટ્રેનો ૧૫થી ૨૦ મિનિટ મોડી દોડી રહી હતી.