18 July, 2020 12:01 PM IST | Mumbai | Mumbai correspondent
પ્રતીકાત્મક તસવીર
વસઈ-વિરાર શહેર મહાનગરપાલિકા ક્ષેત્રમાં કોરોનાના ૯ હજારથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા હોવાથી પ્રશાસન દ્વારા કોરોનાના પેશન્ટના સંપર્કમાં આવેલા અને શંકાસ્પદ લોકોને રાખવા માટે અનેક જગ્યાએ આઇસોલેશન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. પ્રશાસને અહીં ૪૬૬ સફાઈ કામદારોમાંથી બસો કર્મચારીને વિવિધ ડ્યુટી સોંપી છે, પરંતુ આમાંથી ૯ કર્મચારીઓ, ૯ કૉન્ટ્રૅક્ટ ધોરણે કામ કરતા કર્મચારી, ૧ સફાઈ ઇન્સ્પેક્ટર, ૧ સફાઈ વિભાગનો રાઇટર અને ૧ મુકાદમ ડ્યુટી પર હાજર ન થતા હોવાથી ગઈ કાલે પાલિકાએ આ તમામને સસ્પેન્ડ કર્યા હતા.
વસઈ-વિરાર શહેર મહાનગરપાલિકાએ બહાર પાડેલી અખબારી યાદીમાં જણાવ્યું છે કે આઇસોલેશન સેન્ટરમાં જેમને ડ્યુટી સોંપાઈ છે તેઓ ફરજ પર ન આવતા હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા હોવાનું પાલિકાના કમિશનર ગંગાધરન દેવરાજનના ધ્યાનમાં આવ્યું હતું.
કમિશનરે આ બાબતે તપાસ કરતાં સફાઈ વિભાગના ૯ કર્મચારીઓ, આ વિભાગમાં કામ કરી રહેલા ૯ કૉન્ટ્રૅક્ટ કામદારો અને ૩ અધિકારીઓની ૧૬ જુલાઈએ બેઠક બોલાવી હતી; જેમાં જણાઈ આવ્યું હતું કે ત્રણ અધિકારીઓ અને ૬ સફાઈ કર્મચારીઓ ઉપરાંત કૉન્ટ્રૅક્ટ પર કામ કરી રહેલા ૯ સફાઈ કર્મચારીઓ બીમારીનું બહાનું કાઢીને ફરજ પ્રત્યે બેજવાબદાર રહ્યા છે. આથી કમિશનરે આ તમામને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો : મુંબઈ : પનવેલના ક્વૉરન્ટીન સેન્ટરમાં મહિલા પર બળાત્કાર
આ સિવાય જે કર્મચારી બીમાર હોવાનું કહીને કામ પર ન આવતા હોય તેમની આરોગ્ય વિભાગમાં તબીબી તપાસ કરવાનો આદેશ પણ આપ્યો હતો.