21 May, 2020 08:06 AM IST | Mumbai | Rajendra B Aklekar
ગઈ કાલે સવારે ચર્ચગેટ સ્ટેશન પરથી ઊપડવા માટે તૈયાર ટ્રેન.
ઇન્ડિયન રેલવેએ કોરોના લૉકડાઉનમાંથી ધીમે-ધીમે બહાર નીકળવાની હિલચાલના ભાગરૂપે આગામી ૧ જૂનથી ટાઇમટેબલ પ્રમાણે ૨૦૦ નૉન-ઍરકન્ડિશન્ડ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કર્યા પછી મુંબઈમાં રેલવે સ્ટાફની હેરફેર માટે મર્યાદિત પ્રમાણમાં લોકલ ટ્રેનો ચલાવવાની શરૂઆત કરી હતી. બાવીસ માર્ચથી ટ્રેનો પૂર્ણરૂપે બંધ છે. પરપ્રાંતીય હિજરતી કર્મચારીઓ માટે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. ૧૨ મેથી રાજધાની એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી.
રેલવે તંત્રના એક વરિષ્ઠ અમલદારે જણાવ્યું હતું કે ‘મુંબઈની લોકલ ટ્રેનો મર્યાદિત સંખ્યામાં શરૂ કરવામાં આવી છે. આ લોકલ ટ્રેન સર્વિસ ફક્ત રેલવેના સ્ટાફની હેરફેર માટે છે. દિવસે-દિવસે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોની સંખ્યા વધતી હોવાથી ઑન ડ્યુટી રેલવે સ્ટાફની પણ જરૂરિયાત વધી છે. ટ્રેનોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ ઉચિત રીતે જળવાય એ માટે અમે લોકલ ટ્રેનોની સર્વિસીસ પણ મર્યાદિત રાખી છે. એ ટ્રેનોમાં રેલવે સ્ટાફ સિવાય અન્ય કોઈ પ્રવાસ કરી નહીં શકે. ૨૦૦ નૉન-ઍરકન્ડિશન્ડ ટ્રેનના સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એની ટિકિટો રેલવે સ્ટેશન્સ પર નહીં વેચાય. એ ટ્રેનોના પ્રવાસીઓએ ટિકિટ્સ ખરીદવા રેલવે સ્ટેશન્સ પર જવાનું નથી. જે શ્રમિકો પગપાળા ચાલીને વતન ભણી નીકળ્યા હોય, તે શ્રમિકો નજીકના મેઇન લાઇનના રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરને મળીને બાકીના પ્રવાસ માટે ટ્રેનમાં બેસવાની વ્યવસ્થા જાણી શકે છે. રેલવે તંત્રે તમામ રાજ્ય સરકારોને વતનમાં જવા ઉત્સુક પરપ્રાંતીય હિજરતી શ્રમિકોની તારવણી કરીને તેમનાં નામો જિલ્લા કલેક્ટરની ઑફિસમાં નોંધાવ્યાં બાદ તે લોકોને નજીકના મેઇન લાઇન રેલવે સ્ટેશને મૂકી જવાની સૂચના આપી છે.’