15 October, 2020 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
તમારી ટુ-વ્હિલર કે ફોર-વ્હિલરમાં તમે ફરવા નીકળો અને તમને ખબર હોય અથવા ભૂલી જાઓ કે એકાદ દસ્તાવેજ તમારે રિન્યુ કરવાના બાકી છે અને જો ટ્રાફિક પૉલીસ તમને બાજુમાં લઈને તમારા દસ્તાવેજ તપાસે ત્યારે કેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. કૉલેજના વિદ્યાર્થીઓ તો જાણે ટ્રાફિક પૉલીસથી એક રીતે ડરતા જ હોય છે.
ડરવા પાછળનું કારણ કે ટ્રાફિક પૉલીસ થોડાક કડક થઈને વાત કરે તો સામી વ્યક્તિ થોડુક દબાણમાં આવી જતુ હોય છે. લોકોનો ટ્રાફિક પૉલીસ પ્રત્યેનો આ અભિગમ બદલવા માટે તાજેતરમાં જ જોઈન્ટ કમિશનર ઓફ પૉલીસ (ટ્રાફિક) યશસ્વી યાદવે ટ્રાફિક પૉલીસમેનનો સૌમ્યતા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, જે ટ્રાફિકના નિયમનો ભંગ કરે તેની પાસેથી દંડ વસૂલીશું પરંતુ તેમાં એક વિવેક હશે. મે અધિકારીઓને કહ્યું છે કે તેઓ નાગરિકોને ‘સર’, ‘મેડમ’ અથવા ‘શ્રીમાન’, ‘શ્રીમતિ’ કહે, એમ હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું કે, અમે નોંધ્યું છે કે વાહનચાલક અને ટ્રાફિક પૉલીસ વચ્ચે ઘણી મગજમારી થતી હોય છે. મોટા ભાગના કેસમાં તોછડાઈપણાને લીધે લોકો ટ્રાફિક પૉલીસથી દૂર રહેતા હોવાનું સમજાય છે. આથી જ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે જેથી ટ્રાફિક પૉલીસ અને સામાન્ય નાગરિક વચ્ચે એક જોડાણ થાય. જે વ્યક્તિ ટ્રાફિકનો નિયમનો ભંગ કરે તેને ખબર જ હોય છે કે તેણે શું ખોટુ કર્યું. આ જ વાત તેમને વ્યવસ્થિતરીતે કહેવામાં તો તેઓ બીજી વાર આવી ભૂલ નહીં કરે. મારુ માનવું છે કે સારી રીતે અને શાંતિથી વાત કરવાથી પોલીસ અને નાગરિક વચ્ચેનું કમ્યુનિકેશન સુધરશે.
યાદવે કહ્યું કે, પોતાનું વર્તન બદલવા માટે ર્ટ્રાફિક અધિકારીઓને એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. જો તેઓ તોછડાઈપણાથી વાત કરશે તો તેમના વિરુદ્ધ પગલા લેવાશે.