12 June, 2026 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લાલબાગચા રાજાનું પાદપૂજન થઈ ગયું છે અને ગણેશની મૂર્તિ બનાવનારાઓ કામચલાઉ વર્કશૉપ બનાવવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે તેમનું કહેવું છે કે આ વર્ષે ગણપતિની મૂર્તિઓની કિંમતમાં ભારે વધારો થઈ શકે છે. મિડલ ઈસ્ટના યુદ્ધની અસર, ભારતની સ્થાનિક ફુગાવાની પરિસ્થિતિ સાથે જોડાયેલા કાચા માલ, ટ્રાન્સપોર્ટેશન, જગ્યાનાં ભાડાં અને મજૂરોના વેતનના ખર્ચમાં વધારો થયો છે એટલે મૂર્તિના ભાવ વધી શકે છે. પેણના મૂર્તિકારોએ અગાઉથી જ ભાવમાં પચીસ ટકાનો વધારો કરી દીધો છે.
શહેરના મૂર્તિકારોએ કહ્યું હતું કે ‘ખરીદી શરૂ થાય એ પહેલાં જ પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની ૨૦ કિલોની ગૂણી ૨૫થી ૩૦ રૂપિયા મોંઘી થઈ છે. કેટલીક ઝડપથી સુકાઈ જતી PoPની જાતો ઓમાન અને ઈરાનથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને યુદ્ધને કારણે પુરવઠો અનિયમિત છે. કારીગરોનો ભાવ પણ વધી રહ્યો છે કારણ કે ઘણા કારીગરો-મજૂરો હૈદરાબાદ તરફ વળી રહ્યા છે, કેમ કે ત્યાં જાન્યુઆરીમાં કામ શરૂ થઈ જાય છે. અમે મૂર્તિને ફિનિશિંગ આપતી વખતે એને તપાવવા માટે કમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નો ઉપયોગ કરીએ છીએ. ગૅસનો પ્રતિ સિલિન્ડર ખર્ચ ૩૫૦૦ રૂપિયા સુધી વધ્યો છે. કેટલીક મોટી અને વજનવાળી મૂર્તિઓ ખાસ કરીને ફાઇબરથી બનેલી ૧ લાખ રૂપિયાની હોઈ શકે છે.’
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટના ખર્ચમાં વધારો થયો છે. મૂર્તિ બનાવવા માટે વપરાતા કાચા માલથી લઈને તૈયાર મૂર્તિઓનું ટ્રાન્સપોર્ટેશન કરવું પડે છે. ફ્યુઅલ પ્રાઇસમાં વધારો થવાથી એ ખર્ચ પણ વધશે એટલે આ વર્ષે મૂર્તિની કિંમતમાં વધારો થઈ શકે છે.