26/11 હુમલો : વળતર માટે હજુ પણ 88 પરિવારના વલખાં

26 November, 2012 03:22 AM IST  | 

26/11 હુમલો : વળતર માટે હજુ પણ 88 પરિવારના વલખાં



ગયા અઠવાડિયે અજમલ કસબને ફાંસીએ લટકાવવામાં આવ્યો હતો. કેટલાક પરિવારોને આ ઘટનાને લીધે ન્યાય મળ્યાંનો સંતોષ થયો, પરંતુ હત્યાકાંડમાં સ્વજનોને ગુમાવનારા ઘણા પરિવારોને ન્યાય મળવાનો હજી બાકી છે. આ હુમલા બાદ કેન્દ્ર સરકારે જાહેર કરેલા ત્રણ લાખ રૂપિયાના વળતરની રકમ ૮૮ જેટલા પરિવારના લોકોને નથી મળી. 

આ હુમલામાં કુલ ૧૬૪ લોકો માર્યા ગયા હતા. સરકારે ૭૬ લોકોના પરિવારને વળતર આપ્યું છે અને ૮૮ લોકોના પરિવાર હજી એની રાહ જોઈ રહ્યા છે. દેશનાં વિવિધ રાજ્યોને કેન્દ્ર સરકારે આ વળતરની રકમ મોકલી આપી છે, પરંતુ વિવિધ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે રકમની વહેંચણી માટેના જરૂરી કાગળિયાં હજી મોકલ્યાં નથી. 

અધિકારીઓનું શું કહેવું છે?

ચીફ સેક્રેટરી જયંત બાંઠિયાએ કહ્યું હતું કે ‘પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાનું હતું. ૧૬૩ પરિવારોને બે લાખ રૂપિયા આપવામાં આવ્યા. એક વ્યક્તિના પરિવારની ઓળખ નહોતી થઈ. બાકીના ત્રણ લાખ રૂપિયા ૭૬ પરિવારોને આપવામાં આવ્યા, જ્યારે ૮૮ પરિવારો માટેની પ્રક્રિયા હજી ચાલી રહી છે. આ હુમલામાં માર્યા ગયેલા લોકોને જ ત્રણ લાખ રૂપિયા આપવાના બાકી છે, ઘાયલોને નહીં.’

ઘાયલોને વધુ જરૂર

ઘાયલ થયેલા લોકોને ત્રણ લાખ રૂપિયાનું વળતર મળવાનું નથી. જોકે ઘણા ઘાયલોને એવી આશા છે કે તેમને મળશે. બીજેપીના નેતા કિરીટ સોમૈયા તાજેતરમાં મુખ્ય પ્રધાનને વળતરના મામલે મળ્યાં હતા. તેમણે કહ્યું હતું કે ‘ઘાયલોને વધુ રકમ મળવી જોઈએ, કારણ કે મોટા ભાગની રકમ સારવાર માટે જ વપરાઈ ગઈ છે. સરકારે તેમને મદદ કરવી જોઈએ. ઘણા લોકોને પૂરતું વળતર નથી મળ્યું એથી મુખ્ય પ્રધાનને આ બાબતે મેં કાગળ લખીને ધ્યાન દોર્યું છે.’