12 November, 2020 03:00 PM IST | Mumbai | Rajendra B Aklekar, Pallavi Smart
રેલવે આજે શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફના પ્રવાસની વ્યવસ્થા કરે એવી સંભાવના.
લોકલ ટ્રેનમાં હવેથી શિક્ષકો તેમ જ બિનશૈક્ષણિક સ્ટાફ પણ પ્રવાસ કરી શકશે. રાજ્ય સરકારની ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ આ જોગવાઈને સ્વીકારીને રેલવેને ગઈ કાલથી આ સુવિધા શરૂ કરવા લેખિતમાં જણાવ્યું છે. સ્કૂલોમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફે ૫૦ ટકા હાજરી પુરાવવાની હોવાથી તેમના માટે આ રાહત પુરવાર થઈ છે.
રાજ્ય સરકાર ૨૩ નવેમ્બરથી ૯થી ૧૨ ધોરણના વર્ગ શરૂ કરવા વિચારી રહી છે તથા સ્કૂલોને ધોરણોને ધ્યાનમાં રાખતાં તેના કર્મચારીઓની ૫૦ ટકા હાજરી જાળવવા જણાવાયું છે.
સ્કૂલોમાં કર્મચારીઓની હાજરીની આવશ્યકતા ધ્યાનમાં રાખતાં રાજ્યના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ તેમને લોકલ ટ્રેનમાં પ્રવાસની પરવાનગી આપતાં રેલવેને એની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
શાળાઓનાં શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે તાજેતરમાં કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફના પ્રવાસની વ્યવસ્થા ટૂંક સમયમાં કરાય એવી અપેક્ષા છે.
સેન્ટ્રલ રેલવેના પીઆરઓ શિવાજી સુતારે કહ્યું હતું કે પશ્ચિમ અને મધ્ય રેલવેમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફના પ્રવાસની વ્યવસ્થા કરવા માટે તેઓ સંબંધિત અધિકારીઓ સાથે પત્રવ્યવહાર કરશે.