છાતીમાં દુખાવો થતાં સંજય રાઉત હૉસ્પિટલમાં દાખલ

12 November, 2019 08:41 AM IST  |  Mumbai

છાતીમાં દુખાવો થતાં સંજય રાઉત હૉસ્પિટલમાં દાખલ

સંજય રાઉત

મહારાષ્ટ્રમાં પહેલી વખત બીજેપીના સાથ વિના શિવસેનાની સરકાર રચવાની શક્યતા ઊભી થઈ છે ત્યારે શિવસેનાના મુખ્ય નેતા અને પ્રવક્તા સંજય રાઉતને છાતીમાં દુ:ખાવો થતાં તેમને ગઈ કાલે બાંદરાની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. વિવિધ મેડિકલ ટેસ્ટ કરાયા બાદ ડૉક્ટરોએ તેમને બે દિવસ સંપૂર્ણ આરામની સલાહ આપી છે અને આ સમયમાં કોઈને પણ મળવાની ના પાડી હોવાનું જાણવા મળ્યું હતું.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થયા બાદથી બીજેપીએ વચન ન પાળ્યું હોવાનો આરોપ મૂકીને સતત આકરી ટીકા કરનારા શિવસેનાના નેતા સંજય રાઉતને બે-ત્રણ દિવસથી છાતીમાં દુ:ખાવો થતો હોવાથી તેમને ગઈ કાલે હૉસ્પિટલમાં ઍડમિટ કરાયા હતા. દરરોજ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યાં હોવાથી સંજય રાઉત ખૂબ વ્યસ્ત હોવાથી તેમણે દુ:ખાવાને અવગણ્યો હતો, પરંતુ એમાં વધારો થતાં સારવાર લેવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો : NCP-સેના વચ્ચે 50-50ની સમજૂતી શક્ય

છેલ્લાં બે અઠવાડિયાંથી આ વખતે બીજેપી સાથે કે બીજેપી વગર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શિવસેનાના જ હશે એવી આક્રમક ભૂમિકા સંજય રાઉત માંડી રહ્યા હતા. તેઓ આ માટે શરદ પવારથી માંડીને કૉન્ગ્રેસના અનેક નેતાઓની મુલાકાત કરી ચૂક્યા છે.
લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટરોએ સંજય રાઉતના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બે દિવસ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. આથી તેઓ આગામી બે દિવસ હૉસ્પિટલમાં જ રહેશે અને કોઈને પણ નહીં મળે.

sanjay raut lilavati hospital mumbai news