08 October, 2025 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : આશિષ રાજે
નૉર્થ મુંબઈ અને સાઉથ મુંબઈને જોડતી મુંબઈની પહેલી ફુલ્લી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો 3નું આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે. વરલીમાં આચાર્ય અત્રે ચોકથી કફ પરેડ સુધીના મેટ્રો 3ના અંતિમ તબક્કાનું ઉદ્ઘાટન થયા બાદ આવતી કાલથી મુંબઈગરાઓ ઍક્વાલાઇન મેટ્રો 3ની સફર માણી શકશે. કમિશનર ઑફ રેલવે સેફટી દ્વારા મંગળવારે મંજૂરી મળી જતાં મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRCL)એ ગુરુવારથી મેટ્રો 3નું સંચાલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આરેથી આચાર્ય અત્રે ચોક સુધી બે તબક્કામાં ચાલતી મેટ્રો 3 ગુરુવારથી ૩૩ કિલોમીટર સંપૂર્ણ માર્ગ પર દોડશે. એમાં કુલ ૨૬ અન્ડરગ્રાઉન્ડ અને એક રેગ્યુલર સ્ટેશનનો સમાવેશ થાય છે. ગુરુવારથી આચાર્ય અત્રે ચોક અને કફ પરેડથી પહેલી સર્વિસ સવારે ૫.૫૫ વાગ્યે ઊપડશે અને બન્ને સ્ટેશનો પરથી છેલ્લી સર્વિસ રાતે ૧૦.૩૦ વાગ્યે ઊપડશે.