21 August, 2025 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરસાદનું પાણી ગણપતિની મૂર્તિઓ બનાવતી વર્કશૉપમાં ઘૂસી ગયું
ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મુંબઈના બે દિવસના મેઘતાંડવને કારણે અનેક મૂર્તિકારોની સીઝન બગડી ગઈ હતી. મુંબઈ અને થાણેમાં મૂર્તિઓ બનાવતી અનેક વર્કશૉપમાં વરસાદનું પાણી ઘૂસી ગયું હતું. બુક થઈ ગયેલી મૂર્તિઓ પણ ખરાબ થઈ જતાં કલાકારો મુશ્કેલીમાં મુકાયા હતા. થાણેના માજીવાડામાં ગણપતિની મૂર્તિઓ બનાવતી વર્કશૉપમાં વરસાદનું પાણી ઘૂસી ગયું હતું. સચિન નાર્વેકર નામના મૂર્તિકારે કહ્યું હતું કે દર વર્ષે અહીં નાળાં ઊભરાય છે અને ગટરો ચોક-અપ થાય છે એટલે ગટરનું પાણી પાછું આવે છે. અન્ય એક મૂર્તિકારે તેની મૂર્તિઓ પાણીમાં ખરાબ થવાને કારણે ૧.૫ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. મૂર્તિકારોએ ડ્રેનેજની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે પાલિકાને વિનંતી કરી હતી.