21 September, 2020 07:15 AM IST | Mumbai | Mumbai Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફાઇનલ યરની એક્ઝામ સારી રીતે પાર પડી શકે એ માટે મુંબઈ યુનિવર્સિટી અને તેને સંલગ્ન કૉલેજોના બધા જ-સો ટકા પ્રોફેસરોએ ફરજ પર ફરજિયાત હાજર થવું પડશે એવો સરક્યુલર રાજ્ય સરકારના હાયર એજ્યુકેશન મિનિસ્ટર ઉદય સામંતે શુક્રવારે બહાર પાડ્યો હતો. જેનો વિરોધ કરતાં ૨૦૦૦ પ્રોફેસરોના સભ્યપદ ધરાવતા બે યુનિયને સીએમ ઉદ્ધવ ઠાકરે અને હાયર એજ્યુકેશન મિનિસ્ટર ઉદય સામંતને અરજી કરી છે કે સો ટકા ફરજિયાત હાજરી આપવાનો આદેશ તેઓ પાછો ખેંચે. જોકે પાછળથી સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આદેશે જે પ્રોફેસરો એક્ઝામ પ્રણાલી સાથે સંકળાયેલા છે એમના માટે જ છે અને એથી એ વિશેની સ્પષ્ટતા કરતો આદેશ સોમવારે બહાર પાડવામાં આવશે.
અન્ય એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે બધી જ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલી કૉલેજોના ફાઇનલ યરની એક્ઝામ સરળતાથી પાર પડે એ માટે આ નિર્ણય લેવાયો હતો, પણ કેટલીક યુનિવર્સિટી દ્વારા હાલ તેમની પાસે પૂરતો સ્ટાફ નથી અથવા ઓછો સ્ટાફ છે એવી રજૂઆત કરાઈ હતી. જોકે આ આદેશ એક્ઝામ પ્રોસેસ સાથે સંકળાયેલા પ્રોફેસરો માટે જ છે.