21 October, 2020 01:47 PM IST | Mumbai | Dharmendra Jore
૧૨ ઑક્ટોબરે વીજપુરવઠો ખોરવાઈ જવાની ઘટનાની અન્ય બે સ્તરે પણ તપાસ હાથ ધરવામાં આવી છે
૧૨ ઑક્ટોબરે મુંબઈ તથા આસપાસનાં અનેક ક્ષેત્રોમાં વીજપુરવઠો ખોરવાઈ જવાની ઘટના બાબતે સંબંધિત પક્ષોના મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને આજે યોજેલી વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા સુનાવણી (વર્ચ્યુઅલ હિયરિંગ)માં ભારે વાદ-વિવાદ થવાની ધારણા રાખવામાં આવે છે. વીજપુરવઠો ખોરવાઈ ગયા પછી સમારકામ માટે પ્રતિસાદ આપવામાં વિલંબ અને બેદરકારી માટે પ્રાઇવેટ એજન્સી સરકારી કંપની પર દોષનો ટોપલો ઢોળે છે.
કમિશને એ ઘટનાનાં કારણો જાણીને જવાબદારી નિશ્ચિત કરવાના ઉદ્દેશથી સુનાવણી હાથ ધરી હતી. ૧૨ ઑક્ટોબરે વીજપુરવઠો ખોરવાઈ જવાની ઘટનાની અન્ય બે સ્તરે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે નિષ્ણાતો દ્વારા તપાસનો આદેશ આપ્યો છે. એ ઘટના બાબતે કેન્દ્રના ઊર્જા મંત્રાલયે તપાસ ટુકડી ગયા અઠવાડિયે મુંબઈ મોકલી હતી. એ દિવસે કલાકો સુધી ભંગ થયેલો વીજપુરવઠો ફરી સક્રિય બનાવવા માટે વીજવિતરણ કંપની મહાટ્રાન્સ્કોએ તાતા પાવર કંપની દોષી હોવાનો દાવો કર્યો હતો. ઊર્જા ખાતાના પ્રધાન નીતિન રાઉતે એ દુર્ઘટનાને ટેક્નિકલ અને માનવ ત્રુટિ ગણાવતાં ભાંગફોડિયા પ્રવૃત્તિની શક્યતા નકારી હતી.