02 June, 2020 09:41 AM IST | Mumbai | Pallavi Smart
પ્રતીકાત્મક તસવીર
જુલાઈ મહિનામાં દસમા ધોરણની પરીક્ષા લેવા સામે વાલીઓએ નોંધાવેલા વિરોધ સામે આઇસીએસઈ બોર્ડની કાઉન્સિલે વિશેષ ધ્યાન આપ્યું નથી એવામાં અનેક વાલીઓએ આ બાબતે બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ રજૂઆત કરતાં કહ્યું છે કે ‘મહારાષ્ટ્રમાં એક મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અહીં યુનિવર્સિટીની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે, પરંતુ એ જ મહિનામાં આઇસીએસઈની પરીક્ષાના આયોજન વિશે કોઈ ચિંતિત નથી.’
જુલાઈ મહિનામાં યોજાનારી આઇસીએસઈ બોર્ડની પરીક્ષાનાં બાકી રહેલાં પેપર્સ માટે હાજર રહેવા વિદ્યાર્થીઓના વાલીને પહેલેથી જ સખત વાંધો છે. અનેક પીટીએ સંગઠનોએ એકઠાં થઈને કાઉન્સિલને પત્ર લખ્યો છે. જોકે બોર્ડ તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
પિટિશનમાં જણાવાયું છે કે આ પરીક્ષા એ આઇપીસીના સેક્શન ૧૪ (રાઇટ ટુ ઇક્વાલિટી) અને ૨૧ (રાઇટ ટુ લાઇફ)નો સદંતર ભંગ છે. એક જ રાજ્યમાં બે અલગ બોર્ડના સ્ટુડન્ટ્સ સાથે ભેદભાવપૂર્ણ વર્તન ચલાવી લઈ શકાય નહીં. હાલમાં જ રાજ્ય સરકારે કોવિડ-19ના પ્રસારના ભય વચ્ચે પરીક્ષા લઈ શકાય નહીં એવી જાહેરાત કરી હતી ત્યારે એ જ સમયે આઇસીએસઈ બોર્ડના સ્ટુડન્ટ્સની પરીક્ષા સામે કોઈ વાંધો ઉઠાવ્યો નહીં.