દીકરા તરછોડેલી અભિનેત્રી આખરે હૉસ્પિટલમાંથી વૃદ્ધાશ્રમમાં

02 June, 2017 04:51 AM IST  | 

દીકરા તરછોડેલી અભિનેત્રી આખરે હૉસ્પિટલમાંથી વૃદ્ધાશ્રમમાં

શિવા દેવનાથ

ભૂતકાળનાં વર્ષોના બૉલીવુડનાં ઍક્ટ્રેસ ૫૮ વર્ષનાં ગીતા કપૂરને તેમના પુત્રે ગોરેગામની SRV હૉસ્પિટલમાં દાખલ કરીને ત્યજી દીધાં હતાં. એથી ગીતા કપૂર દયનીય હાલતમાં મુકાઈ ગયાં હતાં.

 ૨૪ મેએ ‘મિડ-ડે’એ ગીતા કપૂરની દયનીય સ્થિતિ વિશે રિપોર્ટ કરતાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના  પ્રોડ્યુસર અશોક પંડિત અને અર્ચના સૂરિને આ રિપોર્ટ પરથી ગીતા કપૂર વિશે માહિતી મળતાં તેમને મદદ કરવા દોડી આવ્યાં હતાં. આખરે આ મદદગારોએ ગીતા કપૂરને હૉસ્પિટલમાંથી અંધેરી (વેસ્ટ)માં આવેલા જીવન આશા વૃદ્ધાશ્રમમાં ખસેડ્યાં હતાં અને આ બન્ને મદદગારોએ ગીતા કપૂરને જોઈતી અન્ય મદદ કરવાનું વચન આપ્યું છે.

ગીતા કપૂરની હાલતની જાણ થતાં આ બન્ને મદદગારોએ તેમની હૉસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને કુલ ૧.૬૦ લાખ રૂપિયાના બિલમાંથી અશોક પંડિતે ૮૦,૦૦૦ રૂપિયા અને અર્ચના સૂરિએ ૩૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. બાકીની રકમ હૉસ્પિટલે જતી કરી હતી.


સૂત્રોએ માહિતી આપ્યા મુજબ ગીતા કપૂરને વૃદ્ધાશ્રમમાં ખસેડ્યા પછી પણ અશોક પંડિત અને અર્ચના સૂરિએ તેમની જવાબદારી લીધી છે. તેમણે વૃદ્ધાશ્રમના સત્તાવાળાઓને સૂચના આપી છે કે ગીતા કપૂરની સારી રીતે દેખભાળ કરવી અને એ માટે જરૂરી મદદ તેઓ કરશે. આ ઉપરાંત હૉસ્પિટલના ડૉક્ટર દીપેન્દ્ર ત્રિપાઠીએ વચન આપ્યું છે કે જો ગીતા કપૂરને વૃદ્ધાશ્રમમાં સારવારની જરૂર પડે તો તેઓ જરૂરી સારવાર આપશે.