07 October, 2020 07:26 AM IST | Mumbai | Mumbai Correspondent
પ્રતીકાત્મક તસવીર
નાલાસોપારા રેલવે-સ્ટેશન પાસે ગઈ કાલે સવારે સાડાછ વાગ્યે ઓવરહેડ વાયર તૂટી જવાને કારણે વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેન સર્વિસ ખોરવાઈ હતી. એને લીધે ધસારાના સમયે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. સવારથી બપોર સુધી રેલવેના મેઈન્ટેનન્સ વિભાગે ટ્રેન વ્યવહાર ફરી ચાલું થઈ શકે એ માટેના પ્રયત્નો કરવા પડ્યા હતા.
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમીત ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચર્ચગેટ તરફ જતી ફાસ્ટ લાઇન પર ઓવરહેડ વાયર તૂટવાને લીધે ટ્રેન-સર્વિસ ત્રણ કલાક સુધી ખોરવાયેલી રહી હતી. વેસ્ટર્ન રેલવેએ ટ્વીટ કર્યું હતું કે નાલાસોપારા અને વિરાર વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર ઓએચઈ સમસ્યાને કારણે વિરાર અને વસઈ રોડ વચ્ચે અપ લોકલ લાઇન પર ટ્રેનો દોડાવવામાં આવી હતી. એ સિવાયની ત્રણ લાઇન પૂરી રીતે ઑપરેટિવ હતી. જોકે બપોરે બે વાગ્યે ઓવરહેડ વાયર રીસ્ટોર કરી દેવાયો હતો.