06 November, 2020 07:47 AM IST | Mumbai | Gaurav Sarkar
અલીબાગની કોર્ટમાં ગઈ કાલે અર્નબ ગોસ્વામીને રજૂ કરવામાં આવ્યા હતા. (તસવીર : અતુલ કાંબળે )
રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ વિરુદ્ધ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ અરજી કરવામાં આવી છે. દિલ્હીના વકીલ ઍડ્વોકેટ સિદ્ધાર્થ નાયકની અરજીની નોંધ લેતાં માનવ અધિકાર પંચે મુંબઈ પોલીસ અને રાયગડ પોલીસને ચાર અઠવાડિયાંમાં ઍક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. ‘પ્રસાર માધ્યમો અને વ્યક્તિઓ પર અત્યાચાર’ની ફરિયાદરૂપે કરેલી અરજીમાં ઍડ્વોકેટ સિદ્ધાર્થ નાયકે અર્નબ ગોસ્વામીની ધરપકડને ઇન્ડિયન પીનલ કોડની કલમો ૩૦૬ અને ૫૦૬ હેઠળ આડેધડ અને બેશરમીથી આચરવામાં આવેલું ગેરકાયદે કૃત્ય ગણાવ્યું હતું.
સિદ્ધાર્થ નાયકે અરજીમાં જણાવ્યું હતું કે ‘બુધવારે મુંબઈ પોલીસ અર્નબ ગોસ્વામીના ઘરમાં ઘૂસીને તેમને અપમાનજનક રીતે ખેંચીને બહાર લાવ્યા હતા. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસની બિનકાર્યક્ષમતાને ઉઘાડી પાડતા પત્રકારત્વ સામે રાજ્ય સરકારનો વેરભાવ અને દ્વેષભાવ ધરપકડ વેળા પોલીસના વર્તનમાં જોઈ શકાતો હતો. અર્નબ ગોસ્વામી પર શારીરિક પ્રહાર કરવામાં આવ્યા હતા અને તેમને વાળ પકડીને ખેંચવામાં આવ્યા હતા.’