15 September, 2020 09:43 AM IST | Mumbai | Prajakta Kasale
પેડર રોડની એક બાજુ સંભવિતપણે આજથી ખુલ્લી થઈ જશે
દક્ષિણ મુંબઈથી અવરજવર કરનારા કારચાલકો માટે રાહતના સમાચાર છે. કાયમ વ્યસ્ત રહેતા પેડર રોડની એક બાજુ સંભવિતપણે આજથી ખુલ્લી થઈ જશે. મલબાર હિલ ખાતે પાંચ ઑગસ્ટે ભૂસ્ખલન થયા બાદ આ માર્ગ વાહનો માટે બંધ કરી દેવાયો હતો.
એન. એસ. પાટકર માર્ગનો પેડર રોડ બ્રિજને સાંકળતો ભાગ પુનઃ ખુલ્લો થશે. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે રોડના બાકીના ભાગને બૅરિકેડ કરવા માટેની કામગીરી ચાલી રહી છે જે મંગળવાર સવાર સુધીમાં પૂરી થવાની અપેક્ષા છે.
આઇઆઇટી-બૉમ્બેના નિષ્ણાતો, ટ્રાફિક પોલીસ અને બીએમસીના અધિકારીઓએ સોમવારે સવારે માર્ગનો સર્વે કર્યો હતો. ત્યાર બાદ આ નિર્ણય લેવાયો હતો. બીએમસીના ઍડિશનલ કમિશનર પી. વેલારસુએ જણાવ્યું હતું કે ‘એન. એસ. પાટકરની એક બાજુ મોટા ભાગે મંગળવારથી ટ્રાફિક માટે ખુલ્લી મુકાશે.’
પાંચ ઑગસ્ટે ભારે વરસાદને કારણે મલબાર હિલ ખાતે ભૂસ્ખલન થતાં બી. જી. ખેર માર્ગની દીવાલ તૂટી પડતાં માર્ગને નુકસાન પહોંચ્યું હતું. શરૂઆતમાં આઇઆઇટી નિષ્ણાતો માર્ગ પર વાહનોની ગતિવિધિ ચાલુ રાખવાના વિરોધમાં હતા, પરંતુ દક્ષિણ મુંબઈના ટ્રાફિક માટે આ મહત્વની કડી હોવાની બાબતને ધ્યાનમાં રાખીને બીએમસીએ માર્ગનો સૌથી અસરગ્રસ્ત ભાગ બંધ કરી દીધો હતો અને એક ભાગ ખોલવાનું નક્કી કર્યું હતું.