Mumbai Murder: વિક્રોલીમાં મોટે અવાજે ગીત વગાડવાને મામલે માથાફરેલે પોતાના જ પરિવારજનોનું કાસળ કાઢ્યું

06 August, 2026 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Murder: એક જ ઘરના બે સભ્યોની છરાના ઘા પડવાથી રામ રમી ગયા હતા. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ મર્ડર કેસ અંગે પાર્કસાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ લોહિયાળ ઘટનાની તપાસ કરવા પાર્કસાઇટ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. (ફાઇલ તસવીર)

Mumbai Murder: મુંબઈના વિક્રોલીમાં એક રક્તરરંજિત બનાવ સામે આવ્યો છે.  રાહુલ નગર વિસ્તારના લોકો જ્યારે વહેલી સવારે ગાઢ નિંદરમાં હતા ત્યારે એક ઘરમાંથી અચાનક ગાળાગાળી અને મારઝુડનો અવાજ આવવા લાગ્યો હતો. વાત કંઇક એક હતી કે ઘરની અંદર રાતના સમયે મોબાઈલ પર મોટેમોટેથી ગીતો વગાડવાના મામલે મામૂલી બોલાચાલી શરૂ થઇ હતી. જેણે પળવારમાં તો હિંસક રૂપ ધારણ કરી લીધું હતું. બોલાચાલી તો મર્ડર સુધી પહોંચી ગઈ કેમ કે આરોપીએ અચાનક ધારદાર છરો કાઢીને કુટુંબીજનો પર હુમલો કર્યો હતો. એક જ ઘરના બે સભ્યોની છરાના ઘા પડવાથી રામ રમી (Mumbai Murder) ગયા હતા. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ મર્ડર કેસ અંગે પાર્કસાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

પિતા અને પુત્રનું કાસળ કાઢી નખાયું- પત્ની અને નાનો દીકરો પણ ક્રિટીકલ

આ હુમલા (Mumbai Murder)માં ૪૦ વર્ષના સુનીલ વિશ્વકર્મા અને તેમના ૧૪ વર્ષના દીકરા શ્લોક વિશ્વકર્માને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તરત જ તેમને રાજાવાડી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સુનીલની પત્ની અંજૂ વિશ્વકર્માને અને નાના પુત્ર વિવાનને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. હાલ તે બંને રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની કન્ડિશન ક્રિટીકલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

એક વર્ષથી ફેમિલીમાં નજીવા ઝગડાઓ થયા કરતા હતા

આ લોહિયાળ બનાવ (Mumbai Murder)ની જાણ થતાં જ પાર્કસાઈટ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે આવી ગઈ હતી. પોલીસે આ મામલે સુરેન્દ્ર વિશ્વકર્મા અને સૂરજ વિશ્વકર્મા નામના બે શખ્સોની અટકાયત કરી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) અભયસિંઘ દેશમુખે જણાવ્યું હતું કે: "મૃતક અને આરોપીઓ સગા ભાઈઓ છે અને એક જ ઘરમાં રહેતા હતા. રાત્રે મોબાઈલ પર મોટેથી ગીતો વગાડવા બાબતે ઝગડો થયો હતો. છેલ્લા એક વર્ષથી આ પરિવાર વચ્ચે નાની-મોટી બાબતોમાં અવારનવાર ઝઘડા થતા હતા." 

રાહુલ નગર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ

પોલીસે હુમલામાં વપરાયેલું હથિયાર જપ્ત (Mumbai Murder) કર્યું છે અને ઘટના પાછળના ચોક્કસ કારણોની વધુ તપાસ હાથ ધરી છે. આ દર્દનાક ઘટના બાદ સમગ્ર રાહુલ નગર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પળભરમાં એક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે ગુનાના સ્થળને સીલ પણ કરી લેવામાં આવ્યું છે અને ફોરેન્સિક તપાસ ચાલુ છે. તપાસકર્તાઓ ઘટનાઓનો સંપૂર્ણ ક્રમ સ્થાપિત કરવા અને હુમલા પાછળનો ચોક્કસ હેતુ નક્કી કરવા માટે કામ કરી રહ્યા છે. આગળની તપાસ ચાલી રહી છે.

mumbai news mumbai vikhroli murder case Crime News mumbai crime news mumbai police