03 August, 2020 08:17 AM IST | Mumbai | Mumbai correspondent
ફાઈલ તસવીર
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ મહારાષ્ટ્રના મરાઠવાડા વિભાગમાં આવેલા ઔરંગાબાદમાં ૨૪ કલાકમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. અહીં ૮૬ મિલીમીટર એટલે કે સાડાત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો.
ગઈ કાલે સવારે ૮.૩૦ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ઔરંગાબાદ ઉપરાંત સોલાપુરમાં ૪૨ મિલીમીટર, પુણેમાં ૨૬ મિલીમીટર, અહમદનગરમાં ૨૩ મિલીમીટર અને હિંગોલીમાં ૧૭ મિલીમીટર વરસાદ પડ્યો હતો.
ભારતીય વેધશાળાએ આગામી ત્રણ દિવસ સુધી મુંબઈ, રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, પુણે, કોલ્હાપુર, સાંગલી, બીડ, લાતુર અને ઉસ્માનાબાદમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી ગઈ કાલે કરી હતી. આ સિવાય નાંદેડ, હિંગોલી, પરભણી, જાલના અને સાંગલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
વેધશાળાના ક્લાસિફિકેશન મુજબ ૨૪ કલાકમાં ૬૪.૫થી ૨૦૪.૪ મિલીમીટર વરસાદ નોંધાય તો એ ભારેથી અતિભારે વરસાદ ગણાય છે. આગાહી મુજબ આજથી ત્રણ દિવસ સુધી જો વરસાદ પડશે તો મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર છે.