મેટ્રોની દોડ વર્સોવાથી ઍરપોર્ટ રોડ સુધી જ

10 October, 2012 05:29 AM IST  | 

મેટ્રોની દોડ વર્સોવાથી ઍરપોર્ટ રોડ સુધી જ



રણજિત જાધવ

મુંબઈ, તા. ૧૦

વર્સોવા-અંધેરી-ઘાટકોપર મેટ્રોમાં બેસીને તમે વર્સોવાથી સીધા ઘાટકોપર પહોંચી શકશો એવું વિચારતા હો તો એ સાચું નહીં હોય. નિર્માણને લગતાં કેટલાંક કારણોને લીધે મેટ્રોને તબક્કાવાર શરૂ કરવાનું એમએમઆરડીએ વિચારી રહી છે. એમએમઆરડીએના કમિશનર રાહુલ અસ્થાનાએ જણાવ્યું હતું કે ‘અસલ્ફા સ્ટેશન નજીક નિર્માણ કરવાના મામલે કેટલાક વાંધાઓ છે. પરિણામે કદાચ એવું બને કે અમે મેટ્રો લાઇનને તબક્કાવાર શરૂ કરીએ. ૨૦૧૩ની મધ્ય સુધીમાં વર્સોવા તથા ઍરપોર્ટ રોડ વચ્ચેની લાઇન શરૂ થાય એવો પ્રયાસ અમે કરી રહ્યા છીએ.’

એમએમઆરડીએની નજીકની વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘સુભાષનગર સ્ટેશનનું કામકાજ ઘોંચમાં પડ્યું છે, કારણ કે હજી તો થાંભલાઓ પણ ઊભા નથી થયા. એની નજીકમાં આવેલા મહેશ્વર મંદિરને કારણે વિલંબ થઈ રહ્યો છે.’

૧૧.૦૭ કિલોમીટર લાંબા મેટ્રો કૉરિડોરની ઘણી ડેડલાઇન એમએમઆરડીએ તથા મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડ (એમએમઓપીએલ) અગાઉ આપી ચૂકી છે. અંધેરીના રેલવે-ટ્રૅક નજીક આવેલા એક ધાર્મિક સ્થળને હટાવવાના મુદ્દાને એમએમઆરડીએ દ્વારા સફળતાપૂર્વક હલ કરવામાં આવ્યો હતો. અત્યારે દાદાભાઈ નવરોજી નગર ડેપોનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ડેડલાઇન પહેલાં કામ થાય એ માટે એ ઘણું જ અગત્યનું છે.

પ્રોજેક્ટની આંકડાબાજી

પ્રોજેક્ટનું નામ : વર્સોવા-અંધેરી-ઘાટકોપર (૧૧.૦૭ કિલોમીટર) ખર્ચ : પ્રોજેક્ટનો ખર્ચ ૨૩૫૬ કરોડ રૂપિયા. પ્રોજેક્ટમાં વિલંબ થતાં ખર્ચની રકમ વધીને ૨૪૦૦ કરોડ રૂપિયા થાય એવી શક્યતા છે.

ડેડલાઇન : શરૂઆતમાં ૨૦૧૦ની ડિસેમ્બરની ડેડલાઇન આપવામાં આવી હતી જેને વધારીને ૨૦૧૧ની જૂન કરવામાં આવી. ત્યાર બાદ ૨૦૧૨ની માર્ચ અને છેલ્લે ૨૦૧૨ની નવેમ્બર કરવામાં આવી. હવે ૨૦૧૩ની માર્ચ સુધી શરૂમાં થશે એમ એમએમઆરડીએ કહી રહી છે તેમ જ એ પણ તબક્કાવાર રીતે થશે. વર્સોવાથી ઍરપોર્ટ રોડ સ્ટેશન સુધીની લાઇન શરૂઆતમાં કાર્યરત કરવામાં આવશે.