14 June, 2025 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રેલવે-ટ્રૅક અને અન્ય મશીનરીના સમારકામ માટે સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેના સબર્બન સેક્શનમાં રવિવારે ૧૫ જૂને પાંચ કલાકનો મેગા બ્લૉક રાખવામાં આવશે.
વેસ્ટર્ન લાઇનમાં સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી સાંતાક્રુઝ અને ગોરેગામ સ્ટેશનો વચ્ચે અપ અને સ્લો લાઇન પર બ્લૉક રહેશે. બ્લૉક દરમ્યાન સાંતાક્રુઝ-ગોરેગામ વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇનની ટ્રેનો ફાસ્ટ લાઇન પર દોડાવવામાં આવશે. પ્લૅટફૉર્મની અપૂરતી લંબાઈને કારણે આ ટ્રેનો વિલે પાર્લે સ્ટેશન પર ઊભી નહીં રહે. રામ મંદિર સ્ટેશન પર ફાસ્ટ લાઇન પર પ્લૅટફૉર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે ટ્રેનો ઊભી નહીં રહે. બ્લૉકને લીધે અમુક ટ્રેનો રદ રહેશે તેમ જ બોરીવલી અને અંધેરીની અમુક ટ્રેનો ગોરેગામ (હાર્બર લાઇન) સુધી જ દોડાવવામાં આવશે.
સેન્ટ્રલ રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી વિદ્યાવિહાર વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન પર સવારે ૧૦.૫૫થી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. દરમ્યાન અપ અને ડાઉન સ્લો લાઇનની ટ્રેનો CSMT-વિદ્યાવિહાર સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લાઇન પર દોડાવવામાં આવશે જે ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશનો પર ઊભી રહેશે.
હાર્બર લાઇનમાં પનવેલ-વાશી વચ્ચે અપ અને ડાઉન લાઇનમાં સવારે ૧૧.૦૫ વાગ્યાથી સાંજે ૪.૦૫ સુધી બ્લૉક રહેશે. એને પગલે સવારે ૧૦.૩૩થી બપોરે ૩.૪૯ વાગ્યા સુધી CSMT-પનવેલ ડાઉન લાઇન અને પનવેલ/બેલાપુર-CSMT અપ લાઇન પર ટ્રેનો રદ રહેશે. ટ્રાન્સ-હાર્બર લાઇન પર બ્લૉક દરમ્યાન CSMT-વાશી વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવશે.