15 October, 2020 11:44 AM IST | Mumbai | Mumbai Correspondent
નરેન્દ્ર મોદી
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બાળાસાહેબ વિખે પાટીલની આત્મકથા ‘દેહ વેચાવા કારણી’નું વિડિયો-કૉન્ફરન્સિંગથી ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં હજી પણ કોરોનાનું જોખમ છે એથી થોડી વધુ ચિંતા છે. બની શકે એટલી કાળજી લો. જ્યાં સુધી કોરોનાની રસી મળતી નથી ત્યાં સુધી કોઈ પણ જાતની ઢીલાશ ચાલશે નહીં. હું બે હાથ જોડીને લોકોને વિનંતી કરું છું કે માસ્ક પહેરો, સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવો, સૅનિટાઇઝરથી વારંવાર હાથ ધુઓ. આ નિયમ પાળવામાં કોઈ લાપરવાહી ચાલશે નહીં. આપણે કોરોનાની લડાઈ જીતવી છે અને જીતીશું.
અહમદનગરના લોણીમાં આયોજિત આ કાર્યક્રમમાં તેમની સાથે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ વિડિયો-કૉન્ફરન્સિંગમાં હાજરી આપી હતી. જ્યારે કેન્દ્રીય રાજ્યપ્રધાન રાવસાહેબ દાનવે, વિધાનસભાના વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ, બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલ, બીજેપીના વિધાયક રાધાકૃષ્ણ વિખે પાટીલ, સંસદસભ્ય સુજય વિખે પાટીલ સાથે અન્ય જનપ્રતિનિધિઓએ હાજરી પુરાવી હતી.