10 May, 2020 10:24 AM IST | Mumbai | Mumbai Correspondent
એસટી બસ
રાજ્યમાં અનેક ઠેકાણે અટકી પડેલા વિદ્યાર્થીઓ, મજૂરો અને નાગરિકોને તેમના વતન જવાની પરવાનગી અપાઈ છે, પણ ખાનગી ટ્રાન્સપોર્ટરો દ્વારા તેમની લૂંટ ચલાવાતી હોવાનું ધ્યાનમાં આવતાં હવે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ પરિવહન મહામંડળ (એસટી) સોમવાર ૧૧ મેથી ૧૮ મે સુધી તેમની લાલ બસ (લાલ પરી) ચલાવશે. એટલું જ નહીં, એ બસમાં લોકો મફત પ્રવાસ કરી શકશે એમ રાજ્યના પરિવહન પ્રધાન અનિલ પરબે જણાવ્યું છે.
અનિલ પરબે કહ્યું છે કે ‘એક જ જિલ્લામાં કે ગામ જનારા લોકોએ બાવીસ જણનું ગ્રુપ બનાવવાનું રહેશે અને એની યાદી બનાવીને પોલીસને આપવાની રહેશે. જ્યારે ગામડાના પ્રવાસીઓએ એ માહિતી જિલ્લા અધિકારી અથવા તહેસિલદારને આપવાની રહેશે જેમા મોબાઇલ નંબર, ક્યાં છો અને ક્યાં જવાના છો. આધાર કાર્ડ નંબર અને અન્ય વિગતો આપવાની રહેશે. ત્યાર બાદ પોલીસ એ માહિતી એસટીને આપશે અને એ પછી બસની વ્યવસ્થા કરી કયા ડેપોમાં ક્યારે અને કેટલા વાગ્યે આવવાનું છે એની જાણ કરાશે. આ સંપૂર્ણ પ્રવાસ મફત હશે. જોકે સાવચેતીના પગલે મુંબઈ અને પુણેના ક્વૉરન્ટીન ઝોનમાંથી કોઈને પણ આ પ્રવાસનો લાભ નહીં મળી શકે. જોકે ૧૮ મે પછી આ સેવા લંબાવવી કે નહીં એનો નિર્ણય રાજ્ય સરકાર લેશે.’