15 July, 2020 01:28 PM IST | Mumbai | Agencies
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશને કોવિડ-19ના દરદીઓની સારવાર માટે ખાનગી હૉસ્પિટલોના ૮૦ ટકા બેડ્સ પ્રાપ્ત કરી લીધા હોવાનું એક અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.
સોમવારે જારી કરાયેલા એક આદેશમાં મ્યુનિસિપલ કમિશનર વિજય સૂર્યવંશીએ જણાવ્યું હતું કે પિડિયાટ્રિક ઇન્ટેન્સિવ કૅર યુનિટ્સ, એનઆઇસીયુ તથા ડાયાલિસિસ વૉર્ડ્સના બેડ્સને એમાંથી બાકાત રાખવામાં આવશે.
કૉર્પોરેશનની હદમાં આવેલી ખાનગી હૉસ્પિટલોએ આરક્ષિત બેડ્સમાં કોરોનાના દરદીઓને દાખલ કરીને સારવાર આપવી જોઈએ અને સારવારનો ચાર્જ મનપાએ નિર્દિષ્ટ કર્યા મુજબનો હોવો જોઈએ, એમ આદેશમાં જણાવાયું હતું.
આ ઉપરાંત હૉસ્પિટલોએ પ્રવેશની જગ્યા પર જ બેડની ઉપલબ્ધતા તથા સારવારના ચાર્જની વિગતો દર્શાવવી જોઈએ. કોવિડના દરદીઓની સારવારનો ઇનકાર કરનારી અથવા તો વધુ પડતો ચાર્જ વસૂલનારી હૉસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવશે. સત્તાવાર આંકડા અનુસાર કેડીએમસીની સીમામાં કોવિડ-19ના ઓછામાં ઓછા ૧૩,૨૪૦ કેસ અને ૧૯૮ મોત નોંધાયાં છે.
દરમિયાન, મીરા-ભાઇંદર મ્યુનિસિપલ કૉર્પોરેશને કોવિડ-19 સ્ક્રીનિંગ તથા કૉન્ટ્રૅક્ટ ટ્રેસિંગમાં મદદ માટે સ્થાનિક કૉર્પોરેટરોને સાંકળ્યા છે.